મોરબી જિલ્લાના વીરપરડા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી એક કૂવો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ કૂવામાં દરિયાના મોજાંની જેમ સતત પાણી હિલોળા મારી રહ્યું છે. સૌથી નવાઈની વાત એ છે કે આ કૂવાથી માત્ર થોડાક સો મીટરના અંતરે આવેલા અન્ય કૂવાઓમાં પાણી સંપૂર્ણ સ્થિર છે, જ્યારે માત્ર આ એક જ કૂવામાં સતત હલચલ જોવા મળી રહી છે. આ અનોખી ઘટનાએ સ્થાનિકોથી લઈને વૈજ્ઞાનિકો સુધી સૌનું ધ્યાન ખેંચ્યું છે.
રહસ્યનો વૈજ્ઞાનિક રીતે ઉકેલ શોધવા માટે સરકારી એજન્સીઓ મેદાનમાં
સોશિયલ મીડિયા પર આ કૂવાના વીડિયો વાયરલ થયા બાદ કોઈએ તેને ભૂકંપની પૂર્વચેતવણી ગણાવી તો કોઈએ પેરાનોર્મલ એક્ટિવિટી સાથે પણ જોડવાનો પ્રયાસ કર્યો. પરંતુ હવે આ રહસ્યનો વૈજ્ઞાનિક રીતે ઉકેલ શોધવા માટે સરકારી એજન્સીઓ મેદાનમાં ઉતરી છે.

જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમે સ્થળનું નિરીક્ષણ કર્યું
આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ વિભાગના ડિરેક્ટર વિજય કુમાર દાસના નેતૃત્વ હેઠળ નિષ્ણાતોની ટીમ વીરપરડા ગામે પહોંચી હતી. ટીમે હિલોળા મારતા કૂવાનું વિગતવાર નિરીક્ષણ કર્યું અને તેની આસપાસની ભૌગોલિક સ્થિતિનો અભ્યાસ કર્યો. એટલું જ નહીં, મુખ્ય કૂવાથી અંદાજે 500 મીટર દૂર આવેલા બીજા કૂવાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું, જેથી બંને કૂવાઓની સ્થિતિની સરખામણી કરી શકાય.
https://twitter.com/ANI/status/2086963420092658023
પાણીના વર્તન, ભૂગર્ભની રચનાની માહિતી મેળવી
ટીમે પાણીના વર્તન, ભૂગર્ભની રચના અને આસપાસના ભૌગોલિક પરિબળો અંગે માહિતી એકત્ર કરી છે. હવે આ તમામ માહિતીના આધારે વિગતવાર અહેવાલ તૈયાર કરીને મોરબી જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવશે, ત્યારબાદ ઘટનાનું ચોક્કસ વૈજ્ઞાનિક કારણ જાહેર થઈ શકે છે.

આખરે માત્ર એક જ કૂવામાં હિલોળા કેમ?
વીરપરડા ગામનો આ કૂવો નેશનલ હાઇવે નજીક આવેલો છે અને અંદાજે 18 ફૂટ ઊંડો છે તેમાં પાણી સતત હિલોળા જોવા મળી રહ્યા છે. પરંતુ નજીકના અન્ય કૂવાઓમાં આવી કોઈ અસર જોવા મળતી નથી.
આ ઘટનાએ લોકોમાં અનેક સવાલો ઉભા કર્યા
આ જ કારણ છે કે આ ઘટનાએ લોકોમાં અનેક સવાલો ઉભા કર્યા છે. જો આ ઘટના માત્ર વરસાદ કે ભૂકંપના કારણે હોય તો આસપાસના તમામ કૂવાઓમાં સમાન અસર જોવા મળવી જોઈએ. પરંતુ ફક્ત એક જ કૂવામાં હલચલ જોવા મળતાં વૈજ્ઞાનિકો માટે પણ આ રસપ્રદ અભ્યાસનો વિષય બન્યો છે.
શું આ ભૂકંપની પૂર્વચેતવણી છે?
ઘણા લોકોમાં એવી માન્યતા છે કે કૂવાના પાણીમાં અચાનક હિલોળા શરૂ થાય તો તે ભૂકંપ આવવાનો સંકેત હોઈ શકે. કારણ કે ઇતિહાસમાં કેટલીક જગ્યાએ ભૂકંપ પહેલાં ભૂગર્ભ જળસ્તરમાં ફેરફાર નોંધાયા છે.
હાલ આ વિસ્તારમાં કોઈ ભૂકંપીય ગતિવિધિ નોંધાઈ નથી
પરંતુ સિસ્મોલોજી વિભાગે સ્પષ્ટ કર્યું છે કે હાલ આ વિસ્તારમાં કોઈ ભૂકંપીય ગતિવિધિ નોંધાઈ નથી. એટલે હાલમાં આ ઘટનાને ભૂકંપ સાથે સીધી રીતે જોડવી યોગ્ય નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે માત્ર કૂવાના પાણીમાં હલચલના આધારે ભૂકંપની આગાહી કરી શકાતી નથી.

'વેલ સેશ' એટલે શું?
ભૂસ્તરશાસ્ત્રમાં ખુલ્લા કૂવા કે જળાશયમાં પાણીના સતત હિલોળાને "વેલ સેશ" તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ભૂગર્ભમાં દબાણમાં ફેરફાર થાય, સૂક્ષ્મ કંપન સર્જાય અથવા અન્ય કુદરતી પરિબળો કાર્યરત બને ત્યારે પાણી એક છેડેથી બીજા છેડે સતત હલનચલન કરે છે. ઘણી વખત આ પ્રક્રિયા કલાકો કે દિવસો સુધી પણ ચાલુ રહી શકે છે. આ ઘટના વિશ્વના અનેક દેશોમાં પણ નોંધાઈ ચૂકી છે અને હંમેશા તેનો સંબંધ ભૂકંપ સાથે હોય એવું જરૂરી નથી.
પ્રથમ સંભાવના: સૂક્ષ્મ ભૂકંપીય આંચકા
મોરબી વિસ્તાર ભૂસ્તરીય રીતે સંવેદનશીલ માનવામાં આવે છે અને અહીંથી ફોલ્ટ લાઇન પણ પસાર થાય છે. કેટલાક નિષ્ણાતો માને છે કે ખૂબ ઓછી તીવ્રતાના ભૂકંપીય આંચકા અથવા ભૂગર્ભના સૂક્ષ્મ કંપન જમીનની અંદરના પાણી સુધી પહોંચી શકે છે. આવા કંપનના કારણે કૂવામાં લાંબા સમય સુધી પાણી હિલોળા મારી શકે છે. જોકે હાલમાં સિસ્મોલોજી વિભાગે આવા કોઈ આંચકા નોંધ્યા નથી. તેથી આ માત્ર એક સંભવિત વૈજ્ઞાનિક કારણ તરીકે જોવામાં આવી રહ્યું છે.
બીજી સંભાવના: ભારે વરસાદ અને ભૂગર્ભ જળદબાણ
ભૂસ્તરશાસ્ત્રીઓનું માનવું છે કે તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે વિસ્તારમાં ગ્રાઉન્ડ વોટર રિચાર્જ મોટા પ્રમાણમાં થયું છે. જો જમીનની અંદર કન્ફાઇન્ડ એક્વિફર હોય તો તેમાં પાણીનું દબાણ વધી શકે છે. આ વધેલું દબાણ કોઈ ચોક્કસ જગ્યાએ ખુલ્લા કૂવામાં હિલોળા સર્જી શકે છે. આ કારણને વૈજ્ઞાનિક રીતે સૌથી વધુ સંભવિત માનવામાં આવી રહ્યું છે, કારણ કે વરસાદ પછી ભૂગર્ભ જળસ્તરમાં થતા ફેરફારો ઘણી વખત આવી અસરો સર્જતા હોય છે.
ત્રીજી સંભાવના: વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સનું કંપન
નિષ્ણાતો એક બીજી સંભાવના પણ વ્યક્ત કરી રહ્યા છે. આસપાસ આવેલા વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સમાં સતત ફરતી પવનચક્કીઓ ખૂબ જ સૂક્ષ્મ કંપન ઉત્પન્ન કરે છે. આ કંપન જમીન મારફતે આગળ વધીને ભૂગર્ભ જળસ્તર સુધી પહોંચી શકે છે અને કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં કૂવાના પાણીમાં હિલોળા સર્જી શકે છે. જો કે હજુ સુધી આ કારણની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તેના માટે વધુ વૈજ્ઞાનિક અભ્યાસ જરૂરી છે.

ભૂસ્તરશાસ્ત્રી શું કહે છે?
ભૂસ્તરશાસ્ત્રી જે. એસ. વાઢેરેના જણાવ્યા અનુસાર હાલમાં આ વિસ્તારમાં કોઈ ભૂકંપીય પ્રવૃત્તિ નોંધાઈ નથી. તેમના કહેવા પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભૂગર્ભ જળસ્તર રિચાર્જ થયું હોય અને જો જમીનની અંદર ગેપ અથવા ખાસ પ્રકારની ભૌગોલિક રચના હોય અને તેની સાથે તેજ પવનની અસર જોડાય, તો કૂવામાં આવી હલચલ જોવા મળી શકે છે. તેમના મત મુજબ આ એક સામાન્ય ભૌગોલિક ઘટના હોઈ શકે છે.
હજુ અંતિમ જવાબ બાકી
હાલમાં વિવિધ સરકારી એજન્સીઓ અને નિષ્ણાતો સતત તપાસ કરી રહ્યા છે. GSI દ્વારા તૈયાર થનારો અહેવાલ આ રહસ્ય પાછળનું ચોક્કસ વૈજ્ઞાનિક કારણ સ્પષ્ટ કરશે. ત્યાં સુધી ભૂકંપ, રહસ્યમય શક્તિઓ અથવા અંધશ્રદ્ધા સાથે આ ઘટનાને જોડવાને બદલે વૈજ્ઞાનિક તારણોની રાહ જોવી વધુ યોગ્ય રહેશે.

કૂવો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો
વીરપરડા ગામનો કૂવો આજે માત્ર એક સ્થાનિક ઘટના નથી રહ્યો, પરંતુ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગયો છે. પ્રથમ નજરે રહસ્યમય લાગતી આ ઘટના પાછળ ભૂગર્ભ જળદબાણ, 'વેલ સેશ', ભારે વરસાદ, સૂક્ષ્મ કંપન અથવા વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સ જેવા વૈજ્ઞાનિક કારણો જવાબદાર હોઈ શકે છે. જોકે, અંતિમ સત્ય તો નિષ્ણાતોના સત્તાવાર અહેવાલ બાદ જ સામે આવશે. ત્યાં સુધી આ ઘટનાને અફવાઓથી દૂર રાખીને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવાની જરૂર છે.
આ પણ વાંચો : Surat : 'તમે અમારા સ્લેવ છો...' આ શબ્દોએ એક યુવાન ડોક્ટરનું જીવન છીનવી લીધું, હર્ષની કહાની તમને હચમચાવી દેશે
