છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર 12 ઓગસ્ટ, 2026ની એક જ ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો આ ઘટનાને સદીની સૌથી મોટી ખગોળીય ઘટના ગણાવી રહ્યા છે, તો કેટલાક લોકો એવો દાવો કરી રહ્યા છે કે સમગ્ર દુનિયા થોડા સમય માટે અંધકારમાં ડૂબી જશે. બીજી તરફ, કેટલાક લોકોનું કહેવું છે કે મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ પર પણ તેની અસર પડશે.
જોકે, ખગોળશાસ્ત્રીઓનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી મોટાભાગની વાતો માત્ર અફવાઓ છે. હકીકત કંઈક અલગ જ છે.
Sandesh Digital Explainerમાં આજે આપણે જાણીશું કે 12 ઓગસ્ટે આખરે શું થવાનું છે, દુનિયાના કયા ભાગોમાં આ ઘટનાઓ જોવા મળશે અને ભારત પર તેની કોઈ અસર પડશે કે નહીં.

12 ઓગસ્ટે શું ખાસ બનવાનું છે?
12 ઓગસ્ટ, 2026ના રોજ ત્રણ ખગોળીય ઘટનાઓ સૌથી વધુ ચર્ચામાં છે. તેમાં પૂર્ણ સૂર્યગ્રહણ, પર્સિડ ઉલ્કાવર્ષા અને અનેક ગ્રહોની વિશિષ્ટ સ્થિતિનો સમાવેશ થાય છે. જોકે, આ ત્રણેય ઘટનાઓ એકસાથે દુનિયાના દરેક ભાગમાંથી જોઈ શકાશે નહીં.
સૌથી મોટી ઘટના એટલે પૂર્ણ સૂર્યગ્રહણ
જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે ત્યારે સૂર્યનો પ્રકાશ થોડા સમય માટે સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે. આ ઘટનાને પૂર્ણ સૂર્યગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે.

ગ્રીનલૅન્ડ, આઇસલૅન્ડ, સ્પેન અને આર્કટિક મહાસાગરમાં દેખાશે
આ વખતે સૂર્યગ્રહણનો માર્ગ ગ્રીનલૅન્ડ, આઇસલૅન્ડ, સ્પેન અને આર્કટિક મહાસાગરના કેટલાક વિસ્તારોમાંથી પસાર થશે. આ વિસ્તારોમાં દિવસ દરમિયાન થોડા સમય માટે અંધકાર જેવું દૃશ્ય જોવા મળશે.
બે મિનિટ સુધી સૂર્ય સંપૂર્ણપણે ઢંકાઈ જશે
વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર, કેટલાક વિસ્તારોમાં લગભગ બે મિનિટ સુધી સૂર્ય સંપૂર્ણપણે ઢંકાઈ જશે. આ દરમિયાન સૂર્યની બહારની સપાટી, જેને કોરોના કહેવામાં આવે છે, તે પણ સ્પષ્ટપણે જોવા મળશે.
શું ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે?
આ સવાલનો જવાબ સ્પષ્ટ છે – નહીં. ભારતમાં આ સૂર્યગ્રહણ જોવા મળશે નહીં. તેનું કારણ એ છે કે જ્યારે સૂર્યગ્રહણ તેની પરાકાષ્ઠાએ પહોંચશે ત્યારે ભારતમાં રાત્રિનો સમય હશે. આ કારણે દેશમાં સૂતક કાળને લઈને ચાલી રહેલી ચર્ચાઓને વૈજ્ઞાનિકો ખાસ મહત્વ આપતા નથી.

પર્સિડ ઉલ્કાવર્ષા શું છે?
દર વર્ષે ઓગસ્ટ મહિનામાં પર્સિડ ઉલ્કાવર્ષા જોવા મળે છે. જ્યારે પૃથ્વી સ્વિફ્ટ-ટટલ નામના ધૂમકેતુના માર્ગમાંથી પસાર થાય છે ત્યારે ધૂળ અને નાના પથ્થરોના કણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે. વાતાવરણ સાથે ઘર્ષણ થતાં આ કણો સળગી ઊઠે છે અને આકાશમાં ચમકતી પ્રકાશરેખાઓ સર્જાય છે. સામાન્ય ભાષામાં તેને 'તૂટતા તારા' તરીકે ઓળખવામાં આવે છે.
છ ગ્રહોની હરોળ પાછળનું સત્ય શું છે?
સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે છ ગ્રહો એક સીધી હરોળમાં જોવા મળશે. જોકે, ખગોળશાસ્ત્રીઓનું કહેવું છે કે આ દાવો સંપૂર્ણપણે સાચો નથી. વાસ્તવમાં, ગ્રહો એક સીધી રેખામાં આવતા નથી, પરંતુ પૃથ્વી પરથી એવું દેખાય છે કે તેઓ એક જ દિશામાં સ્થિત છે. આ દરમિયાન બુધ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન જેવા ગ્રહોની સ્થિતિ ખાસ રહેશે. જોકે, તમામ ગ્રહો ખુલ્લી આંખે જોઈ શકાશે નહીં. કેટલાક ગ્રહોને જોવા માટે દૂરબીન અથવા ટેલિસ્કોપની જરૂર પડશે.
જાણીતા ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતે શું કહ્યું?
વડોદરાના જાણીતા ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતના જણાવ્યા અનુસાર, ભારતમાં પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે નહીં. તેમણે જણાવ્યું કે પર્સિડ ઉલ્કાવર્ષા ગ્રામ્ય વિસ્તારોમાં વધુ સારી રીતે જોઈ શકાશે. તેમણે એમ પણ કહ્યું કે સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય ગ્રહણના લગભગ 6 હજાર કિલોમીટરના વિસ્તાર પર અંધકાર જોવા મળશે, પરંતુ ભારતમાં તેની કોઈ અસર થશે નહીં.. શુક્ર પશ્ચિમ મા સૂર્યાસ્ત બાદ જોવા મળશે. પણ આ બધું આકાશ ખુલ્લું હશે તથા વાદળ નહીં હોય તો જ જોવા મળશે

મોબાઇલ સેવાઓ બંધ થઈ જશે તેવા દાવાઓ પણ પાયાવિહોણા
તેમના જણાવ્યા અનુસાર, ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓ બંધ થઈ જશે તેવા દાવાઓ પણ પાયાવિહોણા છે. તેમણે વધુમાં જણાવ્યું કે સૂર્યમાંથી મોટા પ્રમાણમાં સૌર કિરણોત્સર્ગ બહાર આવે તો રેડિયો સિગ્નલ, ઉપગ્રહો અને વીજળીની વ્યવસ્થા પર અસર થઈ શકે છે, પરંતુ હાલ એવી કોઈ સ્થિતિ સર્જાઈ નથી.
12મી તારીખ અદ્ભુત રહેશે
દિવ્યદર્શન પુરોહીતે જણાવ્યું હતું કે 12 ઓગસ્ટ 2026 ની રાત ખગોળીય ઘટનાઓ માટે અત્યંત અદ્ભુત છે. (૧) તે દિવસે અમાવસ્યા હશે, (૨) તે રાત્રે પૂર્ણ સૂર્યગ્રહણ થશે જે ભારતમાંથી દેખાશે નહીં, (૩) તે રાત્રે યયાતિ ઉલ્કાવર્ષા થશે જે ભારતમાંથી દેખાશે, (૪) તે જ દિવસે, સૂર્યોદય પહેલાં, પૂર્વમાં એકસાથે 6 ગ્રહો દેખાશે. આમાંથી, ફક્ત બે - મંગળ અને શનિ - નરી આંખે દેખાશે. મતલબ, કેટલાક દૃશ્યમાન થશે અને કેટલાક દૃશ્યમાન નહીં થાય. પરંતુ 12મી તારીખ અદ્ભુત રહેશે. તેથી તમે જે જોઈ શકો તે જુઓ અને પ્રકૃતિનો આભાર માનવાનું ભૂલશો નહીં.
સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી સાવધાન રહો
સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યા છે.

સમગ્ર દુનિયામાં અંધકાર છવાઈ જશે.
મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ થઈ જશે.
પૃથ્વી પર કોઈ મોટી કુદરતી આફત આવશે.
આ ઘટના દુનિયાના અંતની શરૂઆત છે.
જો કે વિજ્ઞાનીઓએ આ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે.

આખરે સત્ય શું છે?
12 ઓગસ્ટ, 2026નો દિવસ ખગોળવિજ્ઞાનની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. પૂર્ણ સૂર્યગ્રહણ, પર્સિડ ઉલ્કાવર્ષા અને ગ્રહોની વિશિષ્ટ સ્થિતિને કારણે સમગ્ર વિશ્વના લોકોની નજર આકાશ તરફ રહેશે. જોકે, એક વાત સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દરેક દાવા પર વિશ્વાસ કરવાને બદલે વૈજ્ઞાનિકો અને અધિકૃત સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પર જ ભરોસો કરવો જોઈએ. કદાચ આ જ કારણ છે કે હજારો વર્ષોથી માનવજાત આકાશમાં છુપાયેલા રહસ્યોને સમજવાનો પ્રયાસ કરતી આવી છે.
