તાજેતરમાં મોસમ બદલાવાની સાથે જ સામાન્ય તાવ, શરદી, અને ગળાના દુખાવાના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. પ્રથમ નજરે આ સામાન્ય વાયરલ ઈન્ફેક્શન જેવું લાગે છે, પરંતુ તે H1N1 ઈન્ફલ્યુએન્ઝા પણ હોઈ શકે છે, જેને આપણે સામાન્ય રીતે 'સ્વાઈન ફ્લૂ' તરીકે ઓળખીએ છીએ. વર્ષ 2009 માં જે વાયરસે સમગ્ર વિશ્વમાં મહામારી સર્જી હતી, તે જ વાયરસ હવે દર વર્ષે સીઝનલ ફ્લૂ તરીકે આપણી વચ્ચે સક્રિય રહે છે. હાલના ચોમાસાના ભેજવાળા વાતાવરણને કારણે શ્વાસ સંબંધી ઈન્ફેક્શન ઝડપથી ફેલાઈ રહ્યું છે, તેથી આ વાયરસ પ્રત્યે જાગૃતિ કેળવવી ખૂબ જ જરૂરી છે.

સ્વાઈન ફ્લૂ શું છે અને તેનું નામ કેમ પડ્યું?

H1N1 એ ઈન્ફલ્યુએન્ઝા 'A' વાયરસનો એક પ્રકાર છે. આ વાયરસના નામ પાછળ બે મુખ્ય પ્રોટીન જવાબદાર છે. 

  • H (Hemagglutinin): આ પ્રોટીન વાયરસને માનવ શરીરના શ્વાસનળીના કોષો સાથે જોડાવામાં અને અંદર પ્રવેશવામાં મદદ કરે છે.
  • N (Neuraminidase): વાયરસ જ્યારે કોષની અંદર પોતાના નવા કણો બનાવે છે, ત્યારે આ પ્રોટીન તે કણોને કોષમાંથી બહાર નીકળી શરીરના અન્ય કોષોમાં ફેલાવામાં મદદ કરે છે.

આ વાયરસ ક્યાંથી આવ્યો, રસપ્રદ ઇતિહાસ

H1N1 વાયરસનો ઇતિહાસ 1918ના સ્પેનિશ ફ્લૂ જેટલો જૂનો છે. વર્ષ 2009માં ફેલાયેલા સ્વાઈન ફ્લૂના વાયરસનું જિનેટિક બંધારણ ખૂબ અનોખું હતું. તેમાં ભૂંડ, પક્ષીઓ અને મનુષ્યોમાં જોવા મળતા ફ્લૂ વાયરસના જનીનોનું મિશ્રણ હતું. ઇન્ફ્લુએન્ઝા A વાયરસમાં 8 અલગ-અલગ જિનેટિક ટુકડાઓ હોય છે. જ્યારે કોઈ એક જ પ્રાણી (જેમ કે ભૂંડ) એક કરતાં વધુ વાયરસથી એકસાથે સંક્રમિત થાય છે, ત્યારે કોષોની અંદર આ જનીનોની અદલાબદલી થાય છે. વૈજ્ઞાનિક ભાષામાં આ પ્રક્રિયાને 'રિઆસોર્ટમેન્ટ' કહેવામાં આવે છે. આ પ્રક્રિયાથી બનેલો નવો વાયરસ માણસોમાં ઝડપથી ફેલાવાની ક્ષમતા મેળવી લે છે.

સ્વાઈન ફ્લૂ કેવી રીતે ફેલાય છે?

ઘણા લોકો માને છે કે, સ્વાઈન ફ્લૂ માત્ર ડુક્કર કે પ્રાણીઓ મારફતે ફેલાય છે, પરંતુ વાસ્તવમાં હવે તે માણસથી માણસમાં ઝડપથી ફેલાતો ઈન્ફેક્શન બની ગયો છે.

  • હવા મારફતે: સંક્રમિત વ્યક્તિ જ્યારે ઉધરસ ખાય, છીંક આવે કે બોલે છે, ત્યારે તેના મોં-નાકમાંથી નીકળતા ડ્રોપલેટ્સ હવામાં ફેલાય છે. નજીકમાં શ્વાસ લેતી બીજી વ્યક્તિ આ વાયરસની ઝપેટમાં આવી જાય છે.
  • સંપર્ક મારફતે: દરવાજાના હેન્ડલ, ફોન કે ટેબલ જેવી દૂષિત સપાટીને સ્પર્શ કર્યા પછી જો અસ્વચ્છ હાથ નાક, મોં કે આંખો પર લગાવવામાં આવે તો પણ ચેપ લાગે છે.

સ્વાઈન ફ્લૂના મુખ્ય લક્ષણો શું છે?

વાયરસના સંપર્કમાં આવ્યાના 1 થી 4 દિવસમાં લક્ષણો દેખાવાનું શરૂ થાય છે. સામાન્ય શરદી-ઉધરસ કરતાં આ ઈન્ફેક્શન ખૂબ ઝડપથી અને તીવ્રતાથી શરીરને જકડી લે છે.

સામાન્ય અને પ્રારંભિક લક્ષણો

  • અચાનક સખત તાવ આવવો કે ઠંડી લાગવી
  • સૂકી ઉધરસ અને ગળામાં બળતરા/દુખાવો
  • સખત માથાનો અને શરીરનો દુખાવો
  • અતિશય થાક અને નબળાઈ
  • નાક વહેવું કે બંધ થઈ જવું
  • પાચન સંબંધી લક્ષણો (ખાસ કરીને બાળકોમાં)
  • ઉલટી થવી કે ઉબકા આવવા
  • ઝાડા થવા
  • ભૂખ ન લાગવી

Swine Flu Explainer: H1N1 Virus Causes, Symptoms, Prevention & Treatment

કયા ઈમરજન્સી લક્ષણો દેખાય તો તુરંત ડોક્ટર પાસે જવું?

મોટાભાગના કિસ્સાઓમાં સ્વાઈન ફ્લૂ ઘરગથ્થુ આરામથી મટી જાય છે, પરંતુ જો નીચે જણાવ્યા મુજબના લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર હોસ્પિટલ પહોંચવું જોઈએ.

  • શ્વાસ લેવામાં તકલીફ પડવી કે ટૂંકા શ્વાસ લેવા
  • છાતીમાં સતત દુખાવો કે દબાણ અનુભવવું
  • ચક્કર આવવા, માનસિક મૂંઝવણ કે બેભાન થવું
  • ચહેરો કે હોઠ વાદળી/ભૂરા પડી જવા
  • પેશાબનું પ્રમાણ ખૂબ ઘટી જવું
  • તાવ મટ્યા પછી ફરીથી સખત તાવ અને ઉધરસ પાછા આવવા

જોખમી વય જૂથ

સ્વાઈન ફ્લૂ 5 વર્ષથી નાના બાળકો, 65 વર્ષથી વધુ વયના વડીલો, સગર્ભા મહિલાઓ અને ડાયાબિટીસ, હૃદયરોગ કે અસ્થમા જેવી બીમારી ધરાવતી વ્યક્તિઓ માટે વધુ ગંભીર સાબિત થઈ શકે છે.

સ્વાઈન ફ્લૂનું નિદાન કેવી રીતે થાય છે?

માત્ર લક્ષણો જોઈને સ્વાઈન ફ્લૂ અને સામાન્ય ફ્લૂ વચ્ચેનો તફાવત પારખવો મુશ્કેલ છે. આ માટે ડોક્ટર તબક્કાવાર તપાસને અનુસરે છે.

  • શારીરિક તપાસ: સ્ટેથોસ્કોપથી ફેફસાંનો અવાજ સાંભળવો અને પલ્સ ઓક્સિમીટરથી બ્લડ ઓક્સિજન (SpO2) ચેક કરવું.
  • રેપિડ ઇન્ફ્લુએન્ઝા ડાયગ્નોસ્ટીક ટેસ્ટ (RIDT): નાક કે ગળાના સેમ્પલ લઈને ઝડપી પરિણામ મેળવવું.
  • RT-PCR Test: વાયરસના ચોક્કસ જિનેટિક મટિરિયલને ઓળખવા માટે RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે, જે સૌથી સચોટ પરિણામ આપે છે.

સ્વાઈન ફ્લૂની સારવાર અને દવાઓ

જો સંક્રમણ હળવું હોય તો પૂરતો આરામ, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી (પાણી, સૂપ, નારિયેળ પાણી) લેવું અને તાવ માટે ડોક્ટરની સલાહ મુજબ પેરાસિટામોલ જેવી દવાઓ લેવી. ગંભીર કેસમાં એન્ટિવાયરલ દવાઓ લેવામાં આવે છે. ગંભીર કેસમાં અથવા હાઈ-રિસ્ક દર્દીઓ માટે ડોક્ટરો ઓસેલ્ટામીવીર જેવી એન્ટિવાયરલ દવાની ભલામણ કરે છે. આ દવા લક્ષણો શરૂ થયાના પ્રથમ 48 કલાકમાં શરૂ કરવામાં આવે તો સૌથી વધુ અસરકારક નીવડે છે. નોંધ: આ દવાઓ માત્ર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ લેવી.

વિશ્વ, ભારત અને ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના આંકડા

  • વિશ્વમાં: 2009ની મહામારી દરમિયાન વિશ્વભરમાં 1.5 લાખથી વધુ લોકોના મોત H1N1 વાયરસના કારણે થયા હોવાનો અંદાજ છે.
  • ભારતમાં: 2009 પછી સમયાંતરે H1N1ની લહેર આવતી રહી છે. 2015માં ભારતમાં 30,000થી વધુ લેબોરેટરી કન્ફર્મ કેસ નોંધાયા હતા અને 1,700થી વધુ લોકોના મોત થયા હતા. હાલ પણ ચોમાસાની ઋતુમાં દિલ્હી-NCR સહિત અનેક રાજ્યોમાં કેસો વધી રહ્યા છે.
  • ગુજરાતમાં: રાજ્યમાં પણ ચોમાસા અને શિયાળાની ઋતુ દરમિયાન સ્વાઈન ફ્લૂના કેસો અને મોતના બનાવો નોંધાતા રહ્યા છે, જેને પગલે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ આઇસોલેશન વોર્ડ અને ટેસ્ટિંગની સુવિધાઓ ઉભી કરવામાં આવે છે.

સ્વાઈન ફ્લૂથી બચવાના ઉપાયો

સીઝનલ ફ્લૂ વેક્સિન લેવી: દર વર્ષે લેવાતી ઈન્ફલ્યુએન્ઝા વેક્સિન H1N1 વાયરસ સામે ઉત્તમ રક્ષણ આપે છે.

માસ્કનો ઉપયોગ: ભીડભાડવાળી અને બંધ જગ્યાઓમાં જતી વખતે N95 કે સર્જિકલ માસ્ક અવશ્ય પહેરવો.

હાથની સ્વચ્છતા: બહારથી આવ્યા બાદ અથવા ઉધરસ-છીંક ખાધા પછી સાબુ અને પાણીથી ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી હાથ ધોવા.

ઉધરસ શિષ્ટાચાર: છીંક કે ઉધરસ ખાતી વખતે રૂમાલ અથવા કોણીના અંદરના ભાગનો ઉપયોગ કરવો.

સોશિયલ ડિસ્ટન્સિંગ: બીમાર વ્યક્તિથી સુરક્ષિત અંતર જાળવવું અને જો તમને તાવ-શરદી હોય તો ઘરે જ આઈસોલેટ રહેવું.

Swine Flu Explainer: H1N1 Virus Causes, Symptoms, Prevention & Treatment


આ પણ વાંચો: Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?