અમરેલી નવા માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની ગુણીઓ ઉતારતા સમયે મજૂરો ઉપર અકસ્માતે ગુણીઓ પડતા 6 મજૂરો દટાયા 1 નું મોત થયું છે.5 ઇજાગ્રસ્તોને રાજકોટ અને અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.અમરેલી માર્કેટીંગ યાર્ડમાં દોડધામ મચી મજૂરો દટાયાની પહેલી વાર ઘટના સામે આવી છે.
મજૂરોએ કરી બૂમાબૂમ
અમરેલી સાવરકુંડલા રોડ ઉપર આવેલ નવા માર્કેટીંગ યાર્ડમાં આવેલ વેપારીના ગોડાઉનમાં મોટી સંખ્યામાં ઘઉંની (ગુણ) થેલીઓ પડી હતી તેવા સમયે અન્ય ટ્રક બહાર લોડ માટે રાખી હતી ત્યારે આ ઘઉંની થેલીઓ 6 મજૂરો ઉતારતા હતા તેવા સમયે આ મોટી સંખ્યામાં ગુણીઓની થપ્પી કરેલી થેલીઓ મજૂરો ઉપર આવી પડતા અફડા તફડી વચ્ચે 6 મજૂરો દટાઇ ગયા અને બૂમાબમ કરતા આસપાસ લોકોના ટોળા ઉમટી પડયા હતા અને મજૂરોને બહાર કાઢી સારવાર માટે ખસેડયા હતા.
પોલીસે હાથધરી તપાસ
ગોડાઉન માલિક સહિત લોકો દોડ્યા હતા જેમાં 1 મજૂર નું મોત નિપજ્યું અને 5 મજૂરોને ઇજાગ્રસ્ત હોવાને કારણે સારવાર માટે તાત્કાલિક અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જેમાં બે મજૂરોને રાજકોટ રીફર કરાયા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે યાર્ડના સત્તાધીશો ગોડાઉન માલિક વેપારીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા અને મજૂરનું મોત થતા યાર્ડમાં શોકનો માહોલ છવાયો છે.હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે.
ઘઉંની થથ્પીઓ મજૂર પર પડતા મોત
અમરેલી નવા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી તુષાર હાપાણીનું કહેવું છે કે,યાર્ડમાં આવેલ વેપારીના ગોડાઉનમાં ઘઉંની મોટી થપ્પી કરેલી હતી જે ઉતારતા સમયે બનાવ બન્યો છે યાર્ડનું ગોડાઉન નથી.માર્કેટીંગ યાર્ડમાં વેપારીના ગોડાઉનની આ ઘટનામાં નવા ખીજડીયા ગામના મજૂર વિપુલભાઈ દિનેશભાઈ કનક ઉ.30ને વધુ ઇજાગ્રસ્ત થવાના મોત નિપજ્યું છે.