બનાસકાંઠા અધિક જિલ્લા કલેકટર સી.પી.પટેલના અધ્યક્ષ સ્થાને આજરોજ કલેક્ટર કચેરી,પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે યોજાએલા આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લાકક્ષા અને તાલુકા- ગ્રામકક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની પોતાની વ્યકિતગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી નિકાલ કરવામાં આવ્યો હતો.


સ્વાગત કાર્યક્રમ

સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે, છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ ન નોંધવા અંગે, એસ.ટી.બસ સ્ટેશન ચાલુ કરવા બાબત, પાણીને લગતા પ્રશ્નો, પ્રોપર્ટી કાર્ડ ને લગતા પ્રશ્નો, પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં સહાય ન મળતી હોવાની બાબત, જમીન સર્વેમાં ભૂલ હોવાથી સુધારા કરવા બાબત, પી.એમ.કિશાન ફોર્મ પેન્ડિંગ બાબત, રોડ રસ્તા રીપેરીંગ બાબત, જમીનને લગતા પ્રશ્નો રજૂ કરાયા હતા. જેને સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા રજૂઆત દ્વારા હકારાત્મક ઉકેલના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.


અરજદારો રહ્યાં હાજર

સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની રજૂઆતો સમસ્યા ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રશ્નોના ઝડપી-નિકાલ કરવા સૂચના અપાઇ હતી. અધિક જિલ્લા કલેકટરે તમામ અરજદારોની સમસ્યા સાંભળી નિયત સમયમાં હકારાત્મક ઉકેલ લાવવાની પણ ખાતરી આપી હતી. સ્વાગત કાર્યક્રમમાં સંબંધિત અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

  • Follow us on: