હીટ વેવ પશુ-પક્ષીઓ માટે પણ આકરી સાબિત થતી હોય છે. ત્યારે ગરમીના કલાકો (સવારે ૧૧ વાગ્યાથી ૪ વાગ્યા સુધી) પશુઓને આરામ કરવા માટે છાંયાવાળી અને પુરતી હવા ઉજાસવાળી જગ્યાએ રાખવા. બપોરના સમયે ભીનાં કપડાંથી પશુનું શરીર ઢાંકવું જોઈએ. હવા ઉજાસ માટે પશુઓના શેડના દરવાજા અને ખારીઓ ખુલ્લી રાખવી. દિવસે તડકો હોય તે સમય દરમ્યાન પશુઓના શેડમાં શણના ભીના કોથળા બાંધવા. ડાંગરની પરાળી વગેરેથી છત/છાપરા ઢાંકવા, છતને સફેદ કલરથી રંગવી.
ઠંડા પાણીની વ્યવસ્થા કરવી
પશુઓના પીવાના પાણીના કવાડા સ્વચ્છ રાખવા અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવી. પશુઓને દિવસમાં ઓછામાં ઓછા એકવાર, શક્ય હોય તો દિવસના ઠંડકના કલાકો દરમ્યાન (વડેલી સવારે કે સાંજે) સ્નાન કરાવવું.દિવસના ગરમીના કલાકો દરમ્યાન પશુઓ અને પક્ષીઓનું પરિવહન કરવાનું ટાળવું. ચરાવવાનો સમય વહેલા સવારે કે સાંજના સમયે નિયત કરવો. લીલાચારાની સાથે, પશુઓને ઉચ્ચગુણવત્તાવાળો ખોરાક મળી રહે તે મુજબ ખાણ-દાણ અને પૂરક આહારનો સમાવેશ કરવો અને ખોરાકની ગુણવત્તા વધારતા તત્વો (Feed additives) ઉમેરવા જોઈએ.
દૂધ ઉત્પાદનમાં ઘટાડો થવા સહિતના લક્ષણો જોવા મળે છે
નાના, ગાભણ અને દૂધાળા પશુઓની વિશેષ કાળજી રાખવી અને ગરમીના તણાવના લક્ષણો માટે નિયમિત દેખરેખ રાખવી. સ્થાનિક ગ્રીષ્મ લહેર બાબતની આગાહિઓ પરત્વે ધ્યાન આપવું. ગ્રીષ્મલહેરના સમયગાળામાં પશુડાટ કે પશુમેળાનું આયોજન કરવું નહીં. પશુઓના ચરિયાણ વિસ્તારમાં મૃત પશુઓનો નિકાલ કરવો નહીં.ગરમીના લીધે પશુઓમાં જોવા મળતા લક્ષણોમાં મુખ્યત્વે સુસ્ત થઈને પડ્યા રહેવું, સૂકુ નાક, નબળાઈ, ધ્રુજારી, લાળ ઝરવી, બેભાન થઈ જવું, પેટ ફુલી જવું, ઓછુ હલનચલન, હાવભાવમાં ફેરફાર, ધ્રુજારી, વધુ પાણી પીવું, ભૂખ ન લાગવી. હાંફવું, જીભ બહાર કાઢીને ઝડપથી હાંફવું, પક્ષીઓમાં ખુલ્લી ચાંચ દ્વારા હાંફ ચઢવી, સતત છાયડો શોધવો, પાણીના સ્ત્રોત પર લાંબા સમય સુધી પડી રહેવું, પક્ષીઓના કિસ્સામાં પાંખો ફેલાવીને રાખવી, દૂધ ઉત્પાદનમાં ઘટાડો થવા સહિતના લક્ષણો જોવા મળે છે.
પશુઓને ઠંડા સ્થળોએ સ્થળાંતરિત કરવા જોઈએ
પશુઓમાં ગરમીની તાણનાં લક્ષણો દેખાય કે ઝડપથી તેમને છાંયાવાળા, ઠંડા સ્થળોએ સ્થળાંતરિત કરવા જોઈએ. જો પશુની સ્થિતિમાં સુધારો ન થાય તો નજીકના પશુચિકિત્સા અધિકારીની મદદ લેવી જોઈએ. ખાસ કરીને ઉનાળુ ઋતુ ગરમી/ લૂ ધ્યાને લેતા દરેક ગૌ શાળા અને પાંજરાપોળ સંસ્થાઓએ પશુઓ માટે પૂરતા પ્રમાણમાં ૨૪ કલાક પાણી ઉપલબ્ધ રાખવા અને પશુને છાંયડો અને પૂરતો ચારો મળી રહે તેમ વ્યવસ્થા કરવા બોટાદ જિલ્લા પશુપાલન અધિકારીશ્રી ડો.આર.જી.માળી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.