રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતીમાં જ્યારે ખેડૂત આવે ત્યારે અમુક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે, કારણકે જમીનનો સેન્દ્રીય કાર્બન ઓછો થઈ ગયો હોય છે. જમીન લગભગ બંજર થઈ ચૂકી હોય છે. તેથી શરૂઆતમાં પાક પર વધારે રોગ જીવાત આવે છે. આ નિયંત્રણ માટે નિમાસ્ત્ર, સુંઠાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર વગેરે પ્રાકૃતિક જંતુરોધકોનો ઉપયોગ કરી શકીએ છીએ. તેમાં લીમડો, ધતુરો, આંકડો, ગળો, સીતાફળ જેવી વનસ્પતિઓને ગૌમુત્રની અંદર સેડવીને તેને ૧૫ થી ૨૦ લીટર પાણીમાં ૨ લીટરના પ્રમાણમાં ઉમેરીને પાક પર છંટકાવ કરવો જેનાથી રોગ જીવાતનું નિયંત્રણ થાય છે.


જાણો પધ્ધતિ વિશે

મહિના જૂની છાશને પાણીમાં ભેળવીને પાક પર છંટકાવ કરવાથી ફૂગજન્ય રોગોનું નિયંત્રણ થઈ શકે છે. આ છંટકાવ છોડવાઓને તાકાત પણ આપે છે. આવા બધા જ પ્રકારના પ્રાકૃતિક છંટકાવોને ખેડૂત પોતાના ઘરે જ બનાવી શકે છે. તેના માટે ખૂબ જ ઓછો ખર્ચ કરવો પડે છે અને જમીનનું સેન્દ્રીય કાર્બન પણ વધે છે. તો ચાલે આજે જાણીએ ઘરે બેઠા પ્રાકૃતિક છંટકાવો બનાવવાની પદ્ધતિઓ વિશે.

ફૂગનાશક દવા

૧૦૦ લીટર પાણીમાં ત્રણ લિટર ખાટી છાશ અથવા લસ્સી ભેળવીને પાક પર છંટકાવ કરવો. આ દ્રાવણ ફૂગનાશક છે. તેમજ વિષાણૂરોધક અને વૃદ્ધિવર્ધક છે. જેનાથી ખેડૂત મિત્રો ખૂબ જ સારા પરિણામ મેળવી શકે છે.

થ્રીપ્સના નિયંત્રણ માટેના ઉપાયો

લીમડાના પાન પાંચ કિલો + સીતાફળના પાન બે કિલો + નફટિયા અથવા ધતુરાના પાન બે કિલો આ બધા પાન ૧૦ લીટર ગૌમુત્રમાં નાખીને પાંચ દિવસ સુધી સડવા દો. પછી ગાળીને તેમાં પાણી ઉમેર્યા વગર જેવું છે તેવી સ્થિતિમાં છંટકાવ કરવો.

મીલીબગના નિયંત્રણ માટેના ઉપાયો

જમીન પર સતત આચ્છાદન હોવું જોઈએ, પૂરતા પ્રમાણમાં જીવામૃત આપી મિશ્ર પાકના રૂપમાં ચોળા, મરચી અને ગલગોટો પણ લો. ૨૦૦ લીટર પાણી + ૫ કિલો દેશી ગાયનું ગોબર + ૨ થી ૫ લીટર ગૌમૂત્ર ભેળવીને ૨૪ કલાક રાખી મૂકો પછી ગાળીને છંટકાવ કરવો. દેશી બાવળની સુકી શીંગો બીજ સાથે ખાંડીને બારીક ચૂર્ણ તૈયાર કરી તે ચૂર્ણને સંગ્રહિત કરો. છંટકાવ કરતી વખતે એક લીટર પાણીમાં ૧૦૦ ગ્રામ ચૂર્ણ ભેળવીને સારી રીતે હલાવો પછી તેને ગાળીને ૨૦૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરો. ૫૦૦ ગ્રામ લસણ અને ૫૦૦ ગ્રામ તીખી લીલી મરચી બંનેને ખાંડીને ચટણી બનાવો. ૧૦૦ લીટર પાણીમાં આ ચટણી નાખીને આખી રાત પલાળી રાખો. બીજા દિવસે ગાળીને છંટકાવ કરવો.

  • Follow us on: