ગુજરાત દેશનો સૌથી લાંબો આશરે 1,600 કિ.મી જેટલો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાતના દરિયાકાંઠે 107 જેટલા નાના-મોટા મત્સ્ય બંદરો અને મત્સ્ય ઉતરણ કેન્દ્રો કાર્યરત છે. ગુજરાતના અનેક નાગરીકો માટે માછીમારી એ આજીવિકાનું મોધ્યમ પણ છે. પરિણામે ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં દેશમાં મોખરે છે. ગુજરાતમાં દરિયાઈ પ્રવૃત્તિઓ ફૂલીફાલી રહી હોવાથી મત્સ્ય બંદરો અને ઉતરણ કેન્દ્રો ખાતે અદ્યતન માળખાકીય સુવિધાઓ પૂરી પાડવી એ રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર છે.
મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના મત્સ્ય બંદરો અને ઉતરણ કેન્દ્રોને અદ્યતન માળખાકીય સુવિધાઓથી સુસજ્જ કરવાના નિર્ધારને પરિપૂર્ણ કરવા માટે પોરબંદર જિલ્લાના નવીબંદર તેમજ ગીર સોમનાથ જિલ્લાના ધામલેજ અને હિરાકોટ મત્સ્ય ઉતરણ કેન્દ્રોને કુલ મળી રૂ. 54.50 કરોડથી વધુના ખર્ચે અપગ્રેડ કરવામાં આવશે. ગીર સોમનાથના ધામલેજ મત્સ્ય ઉતરણ કેન્દ્રને રૂ. 26.40 કરોડથી વધુ, હિરાકોટ મત્સ્ય ઉતરણ કેન્દ્રને રૂ.14.60 કરોડથી વધુ તેમજ પોરબંદરના નવીબંદર મત્સ્ય ઉતરણ કેન્દ્રને રૂ. 13.48 કરોડથી વધુના ખર્ચે અપગ્રેડ કરાશે.













