- રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં કોઈ ગરીબ ન દેખાયાઃ રાહુલ ગાંધી
- ભાજપના કાર્યકર્તાઓમાં દમ નથી, ડરે છેઃ રાહુલ ગાંધી
- ગુજરાતના લોકોને પૂછીને કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો બનાવશે
અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધી કાર્યકરોને સંબોધન કર્યુ અને કહ્યું કે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ બબ્બર શેર છે. રાહુલ ગાંધી એ રામમંદિર મુદ્દે પણ આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં કોઈ ગરીબ ન દેખાયા, સંસદમાં મારી બાજુમાં અયોધ્યાના સાંસદ બેસે છે, રામમંદિર બનવા છતાં અયોધ્યાથી ઈન્ડિયા ગઠબંધન જીત્યુ. રામમંદિર બનાવવા લોકોના ઘર તોડાયા પણ હજુ સુધી કોઈને વળતર મળ્યુ નથી.
ખેડૂતોની જમીનો લીધી પણ વળતર હજુ ચૂકવાયુ નથી
વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે અયોધ્યાના ખેડૂતોની જમીન લઈને એરપોર્ટ બનાવાયુ તેનું વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી. ભાજપની રામમંદિરની રણનીતિ નિષ્ફળ ગઈ છે અને પ્રજાએ તેમને સબક શીખવાડ્યો છે. ત્યારે ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ ઓફિસ પર તોડફોડ કરી અને આપણને ચેલેન્જ કરી છે પણ આપણે ડરવાનું નથી અને ડરાવવાના પણ નથી. મારે ગુજરાતની જનતાને ગુજરાતની જનતાને કહેવાનું છે કે ડરો નહીં, ગુજરાતની જનતા ડર્યા વગર લડશે તો ભાજપ ટકશે નહીં.
કોંગ્રેસના લોકો કોઈનાથી ડરતા નથી: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ સંબોધનમાં ભાજપ પર પ્રહર કરતા કહ્યું કે કોંગ્રેસના લોકો કોઈનાથી ડરતા નથી અને કોંગ્રેસનો નાનામાં નાનો વ્યક્તિ મને મારી ભૂલ બતાવી શકે છે. અમે કાર્યકર્તાની વાત સાંભળવાથી ડરતા નથી. કોંગ્રેસમાં ડરની રાજનીતિ જ નથી. જ્યારે ભાજપના કાર્યકર્તાઓમાં દમ નથી અને તેઓ ડરે છે, એક વ્યક્તિ ઉભો થયો અને બધાની હવા નીકળી ગઈ.
કોંગ્રેસ ગુજરાતમાં જીતશે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને વિશ્વાસ અપવાતા કહ્યું કે કોંગ્રેસ ગુજરાતમાં જીતશે, ગુજરાતથી જ નવી કોંગ્રેસ બનશે.ભાજપે આપણી ઓફિસ તોડી છે અમે એમની સરકાર તોડીશુ. આ પહેલાની ચૂંટણીમાં અમે ગુજરાતમાં બરાબર નહોતા લડ્યા, કોંગ્રેસમાંથી 50 ટકા લોકો માને છે ગુજરાતમાં કોંગ્રેસ જીતશે. આ 50 ટકા લોકો બાકીનાનો માઈન્ડસેટ બદલી શકે છે અને તમારે ચિંતા કરવાની કોઈ જરૂરી નથી AICCની આખી ટીમ ગુજરાત કોંગ્રેસ સાથે છે. ગુજરાતમાં સાથે મળીને લડીશું અને જીત મેળવીશું. ગુજરાતમાં ભાજપનો ફુગ્ગો ફૂટી ગયો છે, ગુજરાતમાં કોંગ્રેસ પ્રેમથી જીતશે.
ગુજરાતમાં કોંગ્રેસના નેતા, કાર્યકરોએ ખૂબ સહન કર્યું છે અને કોંગ્રેસ કાર્યકરોએ ગુજરાતમાં ખૂબ લાકડીઓ ખાધી છે. અમારો ચૂંટણીઢંઢેરો જોઈને ભાજપ હલી ગઈ હતી. ગુજરાત માટે પણ કોંગ્રેસ આવો જ ચૂંટણી ઢંઢેરો બનાવશે. ગુજરાતના લોકોને પૂછીને કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો બનાવશે. ગુજરાતમાં કોંગ્રેસ ભાજપને ઉખેડી દેશે, આ સાથે જ સંબોધનને વિરામ આપતા પહેલા રાહુલ ગાંધીએ ગુજરાતના તમામ લોકોને રથયાત્રાની શુભકામના આપી હતી.