અમદાવાદના નરોડાની ગૌશાળામાં ગાયોની દુર્દશાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વાઇરલ વીડિયોમાં પાંજરાપોળની ગૌશાળાનાં દ્રશ્યો મનને વિચલિત કરી દે એવા છે. નાની અમથી જગ્યામાં ગીચોગીચ ગૌવંશને રાખતા અનેક ગાયો ઘાયલ થઈ. પ્રાઇવેટ ગૌ શાળાનાં નામે લૂંટ ચલાવતા હોવાનો આરોપ ગૌ ભક્તો લગાવી રહ્યા છે. નરોડાની ગૌશાળામાં ગાયોની દુર્દશાને લઇ સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
મનને વિચલિત કરે એવા ગૌશાળાનાં દ્રશ્યો!
સોશિયલ મીડિયા પર ગૌશાળાનો એક વીડિયો વાઇરલ થયો છે જે અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી ગૌશાળાનો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ વાઇરલ વીડિયોમાં જે દ્રશ્યો દેખાય છે તે મનને વિચલિત કરે એવા છે. નાની અમથી જગ્યામાં ગીચોગીચ ગૌવંશને રાખવામાં આવતા અનેક ગાયો ઘાયલ હાલતમાં જોવા મળી. માહિતી અનુસાર, નરોડા ખાતે વિરાટ પાંજરાપોળ ગૌસેવા ટ્રસ્ટથી ગૌશાળા ચલાવાય છે. વિરલ દેસાઈ અને ચંદ્રેશ જોશી દ્વારા આ ખાનગી ટ્રસ્ટ વિરાટ પાંજરાપોળનાં નામથી ચલાવાય છે.
અલગ-અલગ ગ્રામ પંચાયતની ગાયો અહીંયા લવાય છે
માહિતી અનુસાર, જામનગર નગરપાલિકા સહિત અલગ-અલગ ગ્રામ પંચાયતની ગાયો અહીંયા લવાય છે. ગૌ ભક્તોનો આરોપ છે કે, નાની જગ્યામાં અનેક ગાય હોવાના કારણે ગૌવંશની હાલત કથળી છે. નાની જગ્યામાં વધુ પડતી ગાય હોવાનાં કારણે કેટલીક ગાયને ઘાસ ખાવા પણ મળતું નથી, જ્યારે અન્ય ગાયોનાં પગ નીચે આવી જતાં કેટલીક ગાયો ઘાયલ પણ થઈ છે. અહીં, ગાયોને ખવડાવવાની અને પાણી પીવડાવવાની પણ યોગ્ય વ્યવસ્થા નથી. JCB થી જીવતી બીમાર ગાયને આ ટ્રસ્ટમાં ભરવામાં આવે છે. અહીં, ગાયોને ઘાસ ખવડાવવાની રીત પણ ખૂબ જ શરમજનક છે. ટ્રસ્ટનાં નામે સંચાલકોને માત્ર ખિસ્સા ભરવામાં જ રસ છે. આ મામલે AMC અને પશુપાલન વિભાગ દ્વારા જલદી કડક પગલાં લેવાય તેવી ગૌ ભક્તોએ માંગ ઉચ્ચારી છે.