બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાત સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં કોરિડોરની કામગીરીને લઈ તંત્ર દ્વારા દબાણ ઝુંબેશ હાથ ધરાઇહતી.જેમાં 89 જેટલા દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળતા વર્ષોથી આ છત નીચે આશરો મેળવી રહેલા 89 પરિવારો છત વિહોણા બન્યા છે. જોકે તંત્રએ આશરો ગુમાવી બેઠેલા આ 89 પરિવારના છત માટે વૈકલ્પિક વ્યવસ્થા તો કરી પરંતુ માત્ર 11 રૂમ ફાળવી વૈકલ્પિક વ્યવસ્થાને નામે તંત્રએ નાટક રચ્યું છે. અને તંત્રના આ નાટકને પગલે અનેક પરિવારો આજે પણ ખુલ્લામાં આશરો મેળવવા મજબૂર બન્યા છે.
રાજ્ય અને કેન્દ્રની સરકાર સહિત તંત્ર આશ્રમ વિહોણા લોકોને આશરો મળી રહે તે હેતુસર અનેક આવાસો બનાવવાની મસ્ત મોટી વાતો તો કરી રહી છે પરંતુ ક્યાંક તંત્ર અને સરકારનો વિકાસ લોકોના આસરા છીનવી રહી છે. અંબાજીમાં છેલ્લા કેટલાક સમયથી કોરીડોર ની કામગીરી ની શરૂઆત થઈ છે. અને આ કોરીડોરની કામગીરી દરમિયાન અનેક વિસ્તારોમાં દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. અત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી ગબ્બર રોડ પર આવેલા રબારીવાસમાં પોતાનું કાચું પાકું મકાન બનાવી છતનું આશરો મેળવી રહેલા 89 જેટલા પરિવારોના આશરા પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.













