અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામમાં દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનો દ્વારા દીપડાને વહેલીમાં વહેલી તકે પકડીને પાંજરે પૂરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલા દીપડાએ એક 7 વર્ષીય બાળકી પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી બાળકીને સારવાર અર્થે હોસ્પિસટલ ખસેડવામાં આવી હતી. જયા બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જેના પગલે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.


જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામમાં દીપડાના વધતા આતંકથી લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ત્રણ દિવસ પહેલા વાડી વિસ્તારમાં ચતરૂપા જોધુભાઈ બાંભણીયા નામની 7 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે બાળકીના માતા-પિતા કપાસ તોડીને ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. દીપડાએ બાળકીને ગંભીર ઇજા પહોંચાડી હતી. બાળકીને તાત્કાલિક જાફરાબાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ગળામાં ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું.

આ ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. વન વિભાગે દીપડાને પકડવા માટે આ વિસ્તારમાં 8 પાંજરા ગોઠવ્યા છે અને પશુ ચિકિત્સકોની ટીમ પણ તૈનાત કરી છે. વન વિભાગની 7 અલગ-અલગ ટીમો દિવસ-રાત દીપડાને શોધવાની કવાયતમાં લાગી છે. ત્રણ દિવસથી વન વિભાગના કર્મચારીઓ રાત-દિવસ રોકાઈને દીપડાનું સ્થાન મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. આ બધા પ્રયાસો છતાં, દીપડો હજુ સુધી પકડાયો નથી, જેના કારણે વિભાગની ચિંતા વધી ગઈ છે અને ગ્રામજનોમાં ભયનું વાતાવરણ છે.

  • Follow us on: