અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામમાં દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનો દ્વારા દીપડાને વહેલીમાં વહેલી તકે પકડીને પાંજરે પૂરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલા દીપડાએ એક 7 વર્ષીય બાળકી પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી બાળકીને સારવાર અર્થે હોસ્પિસટલ ખસેડવામાં આવી હતી. જયા બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જેના પગલે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામમાં દીપડાના વધતા આતંકથી લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ત્રણ દિવસ પહેલા વાડી વિસ્તારમાં ચતરૂપા જોધુભાઈ બાંભણીયા નામની 7 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે બાળકીના માતા-પિતા કપાસ તોડીને ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. દીપડાએ બાળકીને ગંભીર ઇજા પહોંચાડી હતી. બાળકીને તાત્કાલિક જાફરાબાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ગળામાં ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું.













