અમદાવાદમાં અસમાજિક તત્ત્વોનો આંતક વધ્યો છે. શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં ઉમિયા ગોલ્ડ પેલેસમાં અસમાજિક તત્ત્વોએ ઘૂસવાનો પ્રયાસ કર્યો. જ્વેલર્સના માલિક પર હુમલો કરવા એક શખ્સ ખુલ્લેઆમ હાથમાં છરી લઈને દુકાનના કાચના બારણા તોડવા પ્રયાસ કર્યો. કેટલાક લોકોએ આ શખ્સને અટકાવવા પ્રયાસ કર્યો. છતાં આ શખ્સે હુમલો કરવાની ધમકી આપતા જ્વેલર્સના માલિકે તાત્કાલિક પોલીસને જાણ કરી.


જ્વેલર્સની દુકાનમાં ઘુસી હુમલાનો પ્રયાસ

કૃષ્ણનગર સરદાર ચોક પાસે આવેલ ઉમિયા ગોલ્ડ પેલેસ જ્વેલર્સ પર હુમલાની ઘટના સામે આવી.ઘટનાની હકીકત મુજબ ઉમિયા ગોલ્ડ પેલેસના માલિક અને આરોપી વચ્ચે શાબ્દિક ઝગડો થયો હતો. જ્વેલર્સ અને આરોપી વચ્ચે એક્ટવિવા પાર્ક કરવા બાબતે સામાન્ય બબાલ થઈ હતી.પરંતુ આરોપીએ આ બબાલની અદાવત રાખી જ્વેર્લસ પર હુમલા કરવા પ્રયાસ કર્યો. આરોપી એટલો બેખોફ હતો કે ઘટના સમયેસ્થાનિકો હાજર હોવા છતાં ખુલ્લેઆમ છરી કાઢી દુકાનમાં ઘુસી જવા જોર બતાવતો હતો.



સીસીટીવી સામે આવ્યા

આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. તેમાં દેખાય છે કે શખ્સ દુકાનમાં ઘૂસી જ્વેલર્સને મારમારે છે. સામે છેડે જ્વેલર્સ પણ પોતાનો બચાવ કરતાં આ શખ્સને મારે છે. કેટલાક લોકો દ્વારા આ શખ્સને રોકવા આવ્યો છતાં તેણે જ્વેલર્સને ધમકી આપી કે હવે તને નહીં છોડું. આ ધમકીને પગલે ઉમિયા ગોલ્ડ પેલેસના જ્વેલર્સે પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી. પોલીસ આવે તે પહેલા જ આ શખ્સ રફુચક્કર થઈ ગયો.પોલીસે ઘટના સ્થળે પહોંચી જ્વેલર્સનું નિવેદન લઈ વધુ તપાસ શરૂ કરી.

અસમાજિક તત્ત્વો બેખોફ 

શહેરમાં અસમાજિક તત્ત્વો બેખોફ બની આતંક ફેલાવા લાગ્યા છે. અસમાજિક તત્ત્વો પોતાના મનસૂબા પાર પાડવા નિર્દોષ પ્રજાને રંજાડવા હુમલા અને ધમકી આપવા લાગ્યા છે.અગાઉ પણ કૃષ્ણનગર વિસ્તારમાં જ એક જ્વેલર્સ પર હુમલો કરવામા આવ્યો હતો. નરોડા વિસ્તારમાં શિવકૃપા જ્વેલર્સમાં લૂંટ ચલાવ્યા બાદ બે શખ્સોએ વેપારી પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં વેપારી ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જ્યારે સુરતમાં પણ લૂંટના ઇરાદે એક વેપારી પર જીવલેણ હુમલો કરાયો હતો. સદનસીબે આ ઘટનામાં વેપારીનો બચાવ થયો હતો. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અસમાજિક તત્ત્વોના નિશાના પર નિર્દોષ વેપારીઓ છે. બેખોફ આતંક મચાવનાર અસમાજિક તત્ત્વોની દાદાગીરી પર પોલીસે લગામ લગાવવી જોઈએ.

  • Follow us on: