પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુસાશનને 2 દાયકાથી પણ વધારે સમય પસાર થઈ ચુક્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા તેમના આ સફળ નેતૃત્વની ગાથાને ઉજાગર કરવા તેમજ કોઈ પણ વ્ચક્તિ સેવાઓથી વંચિત ન રહે તે માટે વિકાસ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાઓમાં અનેકવિધ કાર્યક્રમો યાજાઈ રહ્યા છે. ત્યારે રાણપુર તાલુકાના ચારણકી અને તાજપર ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત શાળાઓમાં વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિકાસ સપ્તાહને આવરી લેતા વિષયો ઉપર વિદ્યાર્થીઓએ કૃતિ રજૂ કરી હતી. અંતમાં વિકાસ પ્રતિજ્ઞા લઈને શપથ ગ્રહણ કર્યા હતા.

વિકાસ સંવાદ કરતા જિલ્લા કલેક્ટર
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧માં ૦૭ ઓક્ટોબરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ આજ દિન સુધી વિકાસની યાત્રામાં થયેલા અનેક વિકાસ કાર્યો અંગેની વિકાસગાથા જન-જન સુધી પહોંચાડવા સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ યોજાઇ રહ્યું છે. ત્યારે બોટાદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની વિકાસ ગાથા અંગે કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયે સોશિયલ મીડિયામાં એક્ટિવ એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નાગજીભાઈ પાટડીયા અને પ્રતાપભાઈ મેર સાથે દેશમાં થયેલા વિકાસ અંગે સંવાદ સાધ્યો હતો.

સ્વચ્છતા દિન ઉજવાયો
વિકાસ સપ્તાહ ગાથામાં બોટાદ જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોની ગાથાને વાગોળીએ છીએ, ત્યારે તેના ભાગરૂપે બોટાદ જિલ્લામાં અવનવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે આ વર્ષે 2જી ઓક્ટોબરને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવાયો હતો. જેમાં આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ દ્વારા દરેક લોકોને સ્વચ્છતા પખવાડીયામાં જોડાવવા આહ્વાન કરાયું હતું. તેવી જ રીતે તેમના નેતૃત્વને 23 વર્ષ પૂર્ણ થતા વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે. જેમાં લોકોની સહભાગીદારી મહત્વની છે.