અમદાવાદમાંથી ફરી ડ્રગ્સ ઝડપાયું છે જેમાં એટીએસ દ્રારા લાલ દરવાજા વિસ્તારમાંથી રૂપિયા 27 લાખનું એમડી ડ્રગ્સ ઝડપી પાડયું છે,જેમાંફરજાન શેખ નામના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરવામાં આવી છે,આરોપી અગાઉ 20 કિલો ચરસ સાથે ઝડપાયો હતો એટલે આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તે ડ્રગ્સ અને ચરસના ધંધા સાથે સંકળાયેલો છે.પોલીસે અન્ય સંડોવાયેલ આરોપીઓની તપાસ શરૂ કરી.


એટીએસને મળી હતી બાતમી

ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે લાલ દરવાજા વિસ્તારમાં એક આરોપી ડ્રગ્સ લઈને આવે છે ત્યારે તેને રોકીને તપાસ કરતા તેની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતુ જેની કિંમત 27 લાખ રૂપિયા છે.એટીએસ દ્રારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે,ડ્રગ્સ કયાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથધરી છે,આરોપીને લઈ પોલીસે તેના મોબાઈલ ફોનનો ડેટા પણ લીધો છે અને અગાઉ કયાં ડ્રગ્સ આપ્યું અને કોની પાસેથી લાવ્યો તેને લઈ ટેકનિકલી તપાસ હાથધરી છે.

ડ્રગ્સનું દૂષણ સમાજમાંથી કરો દૂર

નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી દ્વારા ગુજરાત યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલમાંથી છોડાવવાની અને ડ્રગ્સ પેડલરોને સકંજામાં લેવાની દિશામાં આગળ વધ્યું છે.નાર્કો રિવોર્ડ પોલિસી લૉન્ચ કરતી વખતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એવું જણાવ્યું હતું કે, “ડ્રગનું દૂષણ આપણા સમાજને નબળો પાડશે અને યુવાનો તેનાથી દૂર રહે એ જરૂરી છે. ડ્રગ્સ અસ્થાયી રૂપે હાઈ ફીલિંગ આપી શકે છે પરંતુ લાંબા ગાળે તે આપણા શરીરને ભયંકર નુકસાન કરે છે. કોઈ જગ્યાએ ડ્રગ્સ વેચાતું હોય અને એ અંગે યુવાનોને જાણ થાય તો તેમણે પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગને માહિતગાર કરવા જોઈએ."

ફાઈટ અગેઈન્સ્ટ ડ્રગ્સ

ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને એટલે જ તે ડ્રગ્સ પકડવામાં દેશભરમાં અગ્રેસર છે. ગુજરાત માદક પદાર્થોના દુરુપયોગને રોકવાના હેતુથી બાતમીદારો માટે રિવોર્ડ પોલિસી શરૂ કરનારું પહેલું રાજ્ય છે. ડ્રગ્સને નેસ્તનાબૂદ કરવાના પ્રયાસોમાં પોલીસ, કર્મચારીઓ/અધિકારીઓ અને બાતમીદારો પણ મહત્વનો ભાગ ભજવે છે. બાતમીદારોના જોખમને ધ્યાનમાં લેતાં અને રાજ્યમાં કેફી પદાર્થોનો વ્યાપાર અટકાવવા માટે ગુજરાત સરકારે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બાતમીદારોને પ્રોત્સાહન આપવા માટે નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી શરૂ કરી હતી. આ રિવોર્ડ પોલિસીનું અમલીકરણ સરકારના ગૃહ વિભાગ હેઠળ થાય છે.

નાર્કો રિવોર્ડ પોલિસી અંતર્ગત કયા કેસમાં રિવોર્ડ આપવામાં આવે છે?

1. બાતમીદારો, જેમણે આપેલી માહિતી નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થો તેમજ NDPS ઍક્ટ 1985 હેઠળ ગેરકાયદે હસ્તગત કરેલી મિલકતની જપ્તી તરફ દોરી જાય છે.

2. NDPS ઍક્ટ 1985 હેઠળ અધિકૃત અધિકારીઓ, જેઓ ગેરકાયદે પદાર્થોની જપ્તી કરે છે, સફળ ઇન્વેસ્ટિગેશન/પ્રોસિક્યુશન હાથ ધરે છે અને પોસ્ટ ઇન્વેસ્ટિગેશન કાર્ય દ્વારા ગુનો સાબિત કરે છે.

3. અન્ય વિભાગના અધિકારીઓ, જેઓ NDPS ઍક્ટ 1985ની જોગવાઈઓનું ઉલ્લંઘન સામે લાવવામાં મદદ કરે છે.

રિવોર્ડની રકમ શેના આધારે નક્કી થાય છે?

બાતમીદારે જપ્તીના સંદર્ભમાં આપેલ માહિતીની વિશિષ્ટતા અને ચોકસાઈ, લેવામાં આવેલ જોખમ અને તેનું પ્રમાણ વગેરે બાબતો રિવોર્ડની રકમ નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવે છે. તો સરકારી કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા સફળ જપ્તી થઈ હોય તેવા કિસ્સાઓમાં તેમણે કરેલા વિશેષ પ્રયત્નો, કાર્યવાહીમાં લીધેલું જોખમ, સતર્કતા, પ્રતિબંધિત પદાર્થ સાથે સંકળાયેલા લોકોની ધરપકડ થઈ છે કે કેમ વગેરે બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. જે અધિકારી કે કર્મચારી તેની સામાન્ય ફરજના ભાગરૂપે મેળવેલા પુરાવા રજૂ કરે તેને કોઈ રિવોર્ડ આપવામાં આવતો નથી.

બાતમીદારને જપ્ત પદાર્થના 20 ટકા સુધીની રોકડ રકમ આપવામાં આવે છે

NDPS ઍક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરેલા પદાર્થોની ગેરકાયદેસર કિંમતના 20% સુધીની રકમ રિવોર્ડને પાત્ર હોય છે. સરકારી કર્મચારીઓ માટે તેમની સમગ્ર કારકિર્દી દરમ્યાન આ રિવોર્ડની મહત્તમ મર્યાદા ₹20 લાખ છે, જયારે એક જ કેસમાં કોઈ વ્યક્તિગત કર્મચારી કે અધિકારીને આપવામાં આવતી મહત્તમ રકમ ₹2 લાખ સુધીની છે. કોઈ ખાનગી વ્યક્તિએ ઑફિસ વર્કમાં મદદ કરી હોય તેને દરેક કેસ દીઠ ₹2500નો પુરસ્કાર આપવામાં આવે છે. કોઈ બાતમીદાર કે સરકારી કર્મચારીનું મૃત્યુ થઈ જાય તો તેમનો રિવોર્ડ તેમના કાનૂની વારસદાર કે નોમિનીને આપવામાં આવી શકે છે. આ રિવોર્ડ સંપૂર્ણપણે ઇનામ તરીકે ચૂકવવામાં આવે છે અને સક્ષમ સત્તાતંત્ર આ રિવોર્ડને મંજૂર કરે છે.

છેલ્લા ૩ વર્ષમાં ગુજરાત પોલીસે ₹16,155 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું

નાર્કો રિવોર્ડ પોલિસી અંગે જાગૃતિનું પરિણામ એ આવ્યું છે કે NDPS ઍક્ટ, 1985 હેઠળ નોંધાયેલા કેસમાં અને ડ્રગ્સની જપ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. 2021માં રિવોર્ડ પોલિસી લૉન્ચ થઈ ત્યારથી ડિસેમ્બર 2024 સુધીમાં ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને 2500 થી વધુ આરોપીઓ સામે આવ્યા છે. આ પોલિસી હેઠળ અત્યારસુધીમાં DGP કમિટીએ 64 લોકો માટે રિવોર્ડ તરીકે ₹51,202 મંજૂર કર્યા છે. તો ACS, ગૃહ સ્તરની કમિટીએ 169 લોકો માટે ₹6,36,86,664 રિવોર્ડની રકમ મંજૂર કરી છે. આ ઉપરાંત, 737 લોકોને કુલ ₹5,13,40,680 રિવોર્ડ આપવાનો પ્રસ્તાવ NCB કમિટીને મોકલવામાં આવ્યો છે.

 

  • Follow us on: