બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ-૨૦૨૪-૨૫ અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ. જે. દવે, જિલ્લા કક્ષાના પ્રતિનિધિ, નાયબ પશુપાલન નિયામક ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના અને સભ્ય સચિવ નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા પાત્રતા ધરાવતી સંસ્થાઓની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આવેલી અરજીઓને ધ્યાને લઈ સહાય માટે મંજૂરી આપવામાં આવેલ છે.


પશુ નિભાવ સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ પણ છે

આ યોજના અંતર્ગત જાન્યુઆરી -૨૦૨૫ થી માર્ચ -૨૦૨૫ ( ચોથો હપ્તો વર્ષ ૨૦૨૪-૨૫ ) માટે પશુ નિભાવ સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર સમયમર્યાદામાં કુલ ૨૧૫ સંસ્થાઓની અરજી મળેલ હતી. જે પૈકી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા દૈનિક પશુઓની સંખ્યા ૧૦૦૦ થી ઓછી ધરાવતી કુલ ૧૮૮ સંસ્થાઓની અરજીઓ મંજુર કરી ચુકવણા અર્થે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે અને અન્ય ૧૯ સંસ્થાઓ દૈનિક પશુઓની સંખ્યા ૧૦૦૦થી વધુ હોઈ જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા રાજ્ય કક્ષાની સમિતિને નિર્ણય અર્થે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલવામાં આવી છે. જયારે ૮ (આઠ) સંસ્થાઓની અરજીઓ ઠરાવની શરતો પરિપૂર્ણ ન કરતી હોવાથી નામંજૂર કરવામાં આવેલ હતી.

ગુજરાતની ગૌશાળા/પાંજરાપોળો ને આર્થિક મદદ મળી રહેશે

આમ જિલ્લામાં કુલ ૨૦૭ સંસ્થાઓના ૮૬,૩૯૬ પશુઓ માટે કુલ રૂ.૨૩.૩૩ કરોડ રૂપિયાની સહાય મંજુર કરી ચુકવણા માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે. જીલ્લાની ગૌશાળા -પાંજરાપોળને પશુઓના નિભાવ માટે ત્રેવીસ કરોડ અને તેત્રીસ લાખ રૂપિયા જેટલી માતબર રકમની સહાય મંજુર કરવાથી ગૌશાળા/પાંજરાપોળો ને આર્થિક મદદ મળી રહેશે.

  • Follow us on: