ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 7મી ડિસેમ્બર 2024ના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાના હસ્તે 100 દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશની શરૂ કરવામાં આવી હતી. જેના અનુસંધાને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લામાં યોજાયેલી દિશા કમિટીની બેઠક દરમિયાન ટીબી દર્દીઓને પોષણ કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
ટીબીના દર્દીઓ
BAPS સ્વામિનારાયણ મંદિર, સાળંગપુર દ્વારા નિક્ષય મિત્ર બની ટીબી દર્દીઓને 100 પોષણ કીટની સહાય કરવામાં આવી હતી. જે બદલ શ્રીમતી નિમુબેન બાંભણીયા દ્વારા તેમને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા, તેમજ મંત્રી દ્વારા વધુ નવા નિક્ષય મિત્રો બનાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું.100 દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશનો મુખ્ય હેતુ ટીબીના નવા કેસ ઝડપથી શોધી, નવા તમામ કેસોને સારવાર પર મુકી મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો લાવવાનો છે.
સારવાર દરમિયાન કરાય છે મદદ
આ ઝુંબેશ દરમ્યાન સંવેદનશીલ વસ્તી જેવા કે ટીબીની અગાઉ સારવાર લીધી હોય, ટીબીના દર્દીના સંપર્કમા રહેલા વ્યક્તીઓ, ધુમ્રપાન અને અન્ય વ્યસન કરતા વ્યક્તિઓ, કુપોષિત વ્યક્તીઓ - <18.5 BMI, 60 વર્ષથી વધુ વયજુથ, ડાયાબીટીસના દર્દીઓ, એચ.આઇ.વી. ચેપ ઘરાવતા દર્દીઓ, શહેરી વિસ્તારમા ઝુંપડપટ્ટીમા રહેતા લોકો, ઇંટ – ભઠ્ઠામાં કામ કરતા લોકો વગેરેમાં ટીબી રોગનું એક્ટીવ સ્ક્રીનીંગ કરવું, સ્ક્રીનીંગ દરમ્યાન શોધાયેલા તમામ દર્દીઓને સારવાર પર મુકવા, નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબી દર્દીને સારવાર દરમિયાન દર માસે રૂ. 1000/- નો લાભ આપવામાં આવે છે.
અધિકારીઓ રહ્યાં હાજર
નિક્ષય મિત્ર દ્વારા પોષણકીટ અપાવવી અને ટીબી ચેપ ધરાવતા વ્યક્તીઓને ટીબી રોગ અટકાયતી સારવાર (ટીબી પ્રિવેન્ટીવ ટ્રીટમેન્ટ) આપવી વગેરે કામગીરીનો સમાવેશ થાય છે.આ વેળાએ બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર,ઈન્ચાર્જ કલેક્ટર અક્ષય બુડાનિયા, આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત અધિકારીઓ-અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.