નાગરિકોના સ્વાસ્થ્ય અને જીવન સાથે ચેડાં કરતા તત્વો સામે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સખત વલણ અપનાવવામાં આવ્યું છે. રાજ્યમાં બજારમાં મોટાપાયે વેચાતા એનાલોગ પનીર (નકલી કે વનસ્પતિ ફેટયુક્ત પનીર) ના વેચાણ અને વપરાશ પર તંત્ર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી અને જનઆરોગ્યને પ્રાથમિકતા આપીને લેવાયેલા આ મોટા નિર્ણયથી ડેરી અને ખાદ્ય ચીજવસ્તુઓના બજારમાં ખળભળાટ મચી ગયો છે.


નકલી પનીર વેચનારાઓ સામે તંત્રની લાલ આંખ અને કડક એક્શન

સામાન્ય જનતાના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડતા નકલી અને ભેળસેળયુક્ત પનીરનું ધૂમ વેચાણ કરતા અસામાજિક તત્વો અને વેપારીઓ સામે આરોગ્ય વિભાગે કડક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. રાજ્યભરની ડેરીઓ, હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને ફાસ્ટ ફૂડની દુકાનો પર ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા સઘન ચેકિંગ અને રેડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાયદાકીય કડક પગલાં લેવામાં આવશે.


https://twitter.com/sandeshnews/status/2085007231687577842


નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા વિશેષ પગલાં

અસલી પનીરના બદલે વનસ્પતિ તેલ અને હાનિકારકમિક્લસ ભેળવીને બનાવવામાં આવતું એનાલોગ પનીર માનવ શરીર માટે અત્યંત જોખમી સાબિત થાય છે. નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અર્થે સરકાર દ્વારા આ કડક પગલાં લેવાયા છે, જેથી પબ્લિક હેલ્થ સાથે કોઈ ચેડાં ન થાય. આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે લેબોરેટરી ટેસ્ટિંગની પ્રક્રિયા પણ વધુ વેગવંતી બનાવવામાં આવી છે.