ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ફોજદારી કેસોની તપાસ અને ન્યાયિક પ્રક્રિયાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. આ નવા નિર્ણય મુજબ, હવે જો કોઈ ફોજદારી કેસમાં આરોપી અદાલતમાંથી નિર્દોષ છૂટશે, તો તે કેસની નવેસરથી કડક સમીક્ષા કરવામાં આવશે. કોર્ટમાંથી આરોપીનો છુટકારો થવાની સ્થિતિમાં, કેસની તપાસ કરનાર પોલીસ અધિકારી અને કોર્ટમાં સરકાર પક્ષે લડતા સરકારી વકીલની ભૂમિકા અંગે તપાસ હાથ ધરવામાં આવશે.
બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે થશે એક્શન
ગૃહ વિભાગના આ કડક ઠરાવનો મુખ્ય હેતુ એ છે કે તપાસ કે પ્રોસિક્યુશન ની કોઈ ભૂલ અથવા ખામીને કારણે સાચો ગુનેગાર બચી ન જાય. જો સમીક્ષા દરમિયાન માલૂમ પડશે કે પોલીસની તપાસમાં ખામી હતી અથવા સરકારી વકીલ દ્વારા કોર્ટમાં કેસ યોગ્ય રીતે રજૂ કરવામાં બેદરકારી રાખવામાં આવી હતી, તો જવાબદાર પોલીસકર્મી અને વકીલ સામે કાયદેસરની ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણયથી નિર્દોષ લોકોને ખોટા કેસોમાં ફસાવવાની અને નબળી તપાસ કરીને ગુનેગારોને છોડી મૂકવાની પ્રવૃત્તિ પર લગામ લાગશે.
4 સભ્યોની હાઈપાવર સમિતિની કરાઈ રચના
કેસોની તટસ્થ સમીક્ષા કરવા માટે ગૃહ વિભાગ દ્વારા ૪ સભ્યોની એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. આ હાઈપાવર કમિટીમાં રાજ્યના ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અને ડીજીપી (લો એન્ડ ઓર્ડર) નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગૃહ વિભાગના નાયબ સચિવ કક્ષાના બે ઉચ્ચ અધિકારીઓ પણ આ સમિતિમાં સભ્ય તરીકે રહેશે. આ કમિટી કોર્ટના ચુકાદાઓનો ઝીણવટભર્યો અભ્યાસ કરશે અને ક્યાં ખામી રહી ગઈ તેની તપાસ કરીને સરકારને અહેવાલ સોંપશે. તંત્રની આ કડક કવાયતથી પોલીસ બેડા અને વકીલોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : ગુજરાતમાં નબળા ચોમાસાની આશંકા, પાકને બચાવવા વાંચો લાઈફ સેવિંગ ગોલ્ડન ગાઈડલાઈન
