થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં ગાંધીનગર સચિવાલય, કોર્ટ અને અમદાવાદની સ્કૂલો સહિતના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી આપનારા બે આરોપીઓને પોલીસે ઝારખંડથી ઝડપી પાડ્યા હતાં. હવે ફરીવાર ગુજરાતના જાહેર સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. રાજકોટ કોર્ટ અને બાર એસોસિએશનને ખાલિસ્તાની ગ્રુપના નામે ઈ-મેઈલ મોકલીને કોર્ટ તેમજ જામનગર, નયારા રિફાઇનરી અને ગાંધીનગરના મહાત્મા મંદિરને બોમ્બ કે ડ્રોન હુમલાથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તપાસ શરૂ થઈ છે.

રાજકોટ કોર્ટ અને બાર એસોસિએશનને ઈમેલ મળ્યો

રાજકોટ કોર્ટના ઓફિશિયલ તેમજ બાર એસોસિએશનના ઈ-મેઈલ એડ્રેસ પર ખાલિસ્તાની ગ્રુપના નામે એક અત્યંત ગંભીર અને ધમકીભર્યો સંદેશો મળતા કોર્ટ અધિકારીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે.આ ઈ-મેઈલમાં માત્ર રાજકોટ કોર્ટને જ નહીં,પરંતુ જામનગર સુધી ડ્રોન હુમલા કરવાની, વાડીનાર પોર્ટથી લઈને નયારા રિફાઇનરી અને સિક્કા પોર્ટને નિશાન બનાવવાની તેમજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આઈફોન બેટરી દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરવાની ગર્ભિત ધમકી આપવામાં આવી છે. આ અંગે ત્વરિત કોર્ટ અધિકારીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા, સુરક્ષા એજન્સીઓ અને પોલીસ વિભાગ દ્વારા સાયબર ક્રાઇમની મદદથી આ ઈ-મેઈલ મોકલનાર શખ્સોને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

સાયબર સેલે બે આરોપીઓની ધરપકડ કરી

તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રીની ઓફિસ, મુખ્યમંત્રી કાર્યાલય તેમજ ગુજરાત વિધાનસભા સહિતના દેશ અને રાજ્યના અત્યંત સંવેદનશીલ અને મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.આ ગંભીર મામલે સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સે સત્વરે કાર્યવાહી કરીને બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.આ સમગ્ર કેસમાં બોમ્બથી ઉડાવવાની ધમકી આપતા ઇ-મેઇલ મોકલવામાં આવ્યા હતા. આ મામલે ટેક્નિકલ સર્વેલન્સ અને સાયબર ઇન્ટેલિજન્સના આધારે બિહાર અને ઝારખંડમાંથી બે શંકાસ્પદ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Patan News:વૌવા ગામમાં વીજળી પડતાં 35 ઘેટાંના ઘટના સ્થળે મોત, માલધારી પરિવાર પર આફત