- ફાયર સેફટી અને ફાયર NOC મામલે ફાયર વિભાગની લાલઆંખ
- ફાયર સેફટી અને ફાયર NOC વગર ધમધમતા બિલ્ડીંગો ઉપર સતત 7 દિવસથી તવાઈ
- રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટના બાદ ફાયર વિભાગ સફાળુ જાગ્યું
રાજકોટમાં અગ્નિકાંડ બાદ ગુજરાતનું ફાયર વિભાગ સફાળુ જાગ્યું છે ત્યારે ભાવનગર ફાયર વિભાગ દ્રારા છેલ્લા એક અઠવાડિયાથી અલગ-અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.જે બિલ્ડીંગ કે સ્કૂલમાં ફાયર એનઓસી અથવા તો ફાયરના સાધનો ના હોય તે બિલ્ડીંગને સિલ કરવામાં આવી રહ્યું છે. ફાયર સેફટીને લઈ સેન્ટમેરી સ્કૂલના એક્સલન્ટ સ્ટાર ગ્રુપના બિલ્ડીંગને સિલ કરાયુ છે.
હાલ બજારમાં ફાયરના સાધનો મળતા નથી
હલુરીયા વિસ્તારમાં મહાપાલિકાના ફાયર વિભાગે તપાસ હાથધરી હતી અને એક બિલ્ડીંગને સિલ માર્યુ હતુ તેથી વેપારીઓમાં રોષ ફેલાયો હતો. હલુરીયા, દિવાનપરા, વોરાબજારમાં વેપારીઓ ભેગા થયા હતા અને ફાયર સેફ્ટીના મામલે સિલ મારવાની કામગીરી કરવામાં આવે છે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. વેપારીઓએ જણાવ્યુ હતુ કે, ફાયર સેફ્ટીની સમજ આપવા અને સાધનો નખાવવા માટે સમય આપવામાં આવે તેવી માંગણી છે. નિયમનુ પાલન કરવા વેપારીઓ તૈયાર જ છે પરંતુ હાલ સાધનો બજારમાં ફાયર સેફ્ટીના સાધનો તત્કાલ મળતા નથી.
વેપારીઓએ થોડો સમય માંગ્યો
ભાવનગર શહેરમાં મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના મામલે કડક કામગીરી હાથ ધરવામાં આવી છે અને બિલ્ડીંગોમાં તપાસ શરૂ કરવામાં આવી છે, જે બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીનો અમલ ન થતો હોય તે બિલ્ડીંગ અથવા મિલ્કતને સીલ મારવામાં આવી રહ્યા છે. છેલ્લા થોડા દિવસમાં 10થી વધુ મિલ્કતને સીલ કરવામાં આવી છે ત્યારે વેપારીઓમાં રોષ ભભુકી ઉઠયો છે. બજારમાં ફાયર સેફ્ટીના સાધનો તત્કાલ મળતા નથી ત્યારે સમય આપવામાં આવે તેવી વેપારીઓએ માંગણી કરી રહ્યા છે.
સિહોરમાં પણ તપાસ હાથધરાઈ
સિહોરમાં મોલ, શોપિંગ કોમ્પ્લેક્સો, હોટેલો, રેસ્ટોરેન્ટો, હૉસ્પિટલો, બેંકો, સ્કૂલોમાં સિહોર નગરપાલિકાના ચીફ ઑફિસર,ફાયર ઑફિસર, પોલીસ વિભાગ મ્યુનિસિપલ એન્જિનિયર,પી.જી.વી.સી. એલ. એન્જિનિયર સાથે નગરપાલિકા સ્ટાફની સંયુક્ત ટીમ દ્વારા ફાયર સેફ્ટી ચેકીંગ હાથ ધરવામાં આવેલ જેમાં મેઇન બજારમાં આવેલ શુભલક્ષ્મી મોલને નોટિસ ફટકારવામાં આવેલ કારણ કે તેમની પાસે એન.ઓ.સી. હતી પણ ફાયર સિસ્ટમ શરૂ ન હતી.