- વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં 3 શંકાસ્પદ કેસ
- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 5 શંકાસ્પદ કેસ
- અત્યાર સુધી રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 26 કેસ નોંધાયા
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો વ્યાપ સતત વધી રહ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 26 કેસ નોંધાયા છે, જે પૈકી 14 લોકોના મોત થયા છે. ત્યારે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલના આર.એમ. ઓ દેવર્ષિ હેલૈયાએ નિવેદન આપતા કહ્યું કે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં 3 શંકાસ્પદ કેસો નોંધાયા છે.
વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં 3 શંકાસ્પદ કેસ
એસ.એસ.જી હોસ્પિટલના આર.એમ. ઓ દેવર્ષિ હેલૈયાએ જણાવ્યું કે રાહતની વાત એ છે કે ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસમાં હાલ કોઈનું મોત થયું નથી. 3 શંકાસ્પદ કેસની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને આગામી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એસ.એસ.જી હોસ્પિટલ સજ્જ છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 5 શંકાસ્પદ કેસ
ત્યારે બીજી તરફ રાજકોટમાં પણ વાયરસે કહેર મચાવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 5 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. ત્યારે આશ્ચર્યજનક બાબત એ છે કે આ પાંચેય કેસમાં દર્દીઓના મોત થયા છે. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા લક્ષણોને આધારે નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હોસ્પિટલમાં મોરબીના બે દર્દી અને પડધરી, હડમતિયા, જેતપૂરના દર્દીનું મોત થયું છે. ત્યારે આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદમાં પણ શંકાસ્પદ કેસ જોવા મળ્યા
અમદવાદ સિવિલમાં પણ 3 કેસ શંકાસ્પદ મળ્યા છે, જેમાં 1 દર્દી સરદારનગર ચુનાનો ભઠ્ઠો વિસ્તારનું છે, જેને 11જુલાઈએ સિવિલમાં એડમિટ કરાયુ હતું અને 16 જુલાઈએ રાજસ્થનમાં તેનું મૃત્યુ થયુ છે. બીજુ દર્દી ચાંદલોડિયાના અર્બુદાનગરનું છે, જેને 14 જુલાઈએ સિવિલમાં એડમિટ કરવામાં આવ્યું અને 17 જુલાઈએ તેનું મૃત્યુ થયું છે. ત્યારે ત્રીજું દર્દી પ્રેમનગર સૈજપુરનું છે અને હાલમાં તે સિવિલમાં દાખલ છે અને તેની સ્થિતિ સ્ટેબલ હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે નોબેલનગરની 11 વર્ષની એક બાળકી પણ ચાંદીપુરા વાયરસની ઝપેટમાં આવી છે અને હાલમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. બાળકીને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી છે.