કચ્છના નલિયા સામુહિક દુષ્કર્મ કેસમાં કોર્ટે એક મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. નલિયા સામુહિક દુષ્કર્મ કેસમાં 8 આરોપી નિર્દોષ જાહેર કરાયા છે. 2017માં સામુહિક દુષ્કર્મ કેસમાં ભુજ સેશન્સ કૉર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં રાજ્ય સરકારે ખાસ સરકારી વકીલની પણ નિમણૂંક કરી હતી. પરંતુ ફરિયાદી યુવતી જ પાછળથી હોસ્ટાઈલ થઇ હતી. જેના કારણે આરોપીઓ નિર્દોષ છૂટ્યા છે.


વર્ષ 2017ના જાન્યુઆરી મહિનામાં નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડની ઘટનાએ માત્ર કચ્છ જ નહીં સમગ્ર દેશભરમાં ખળભળાટ મચાવ્યો હતો. આ દુષ્કર્મની ચકચારી ઘટનામાં ભાજપના મોટા માથાઓ શામેલ હોવાનું સામે આવ્યું હતું. જેમાં અબડાસા- નલિયામાં કામ કરતી અને મૂળ મુંબઈની પીડિતાએ 2017ના જાન્યુઆરીમાં નલિયા પોલીસ મથકે ભાજપના અમુક નેતાઓ સહિત 10 આરોપી સામે ફરિયાદ નોંધાવતા ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી. 

પોલીસે 9 આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા. ભુજની અદાલતમાં લાંબા સમય બાદ પીડિતા અને આરોપીઓ આમને સામને હોવાથી સુનાવણી પર સૌની મીટ મીડાઈ હતી. આરોપીઓ પૈકી ગાંધીધામ અને નલિયાના અમુક આરોપી ભાજપના હોદ્દેદાર અને પદાધિકારી હોવાથી ન માત્ર ગુજરાત, પરંતુ દેશમાં પણ તેના રાજકીય પડઘા પડ્યા હતા. 2017ની 25 જાન્યુઆરીએ નલિયા સામુહિક દુષ્કર્મ કાંડની પ્રથમ પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ પોલીસની ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ રચાઇ હતી. આ ટીમે ચાર્જશીટ રજુ કર્યા બાદ આ કાંડમાં પકડાયેલા આઠેય આરોપીઓની હાજરીમાં પ્રથમવાર પિડીતાની જુબાની લેવામાં આવી હતી.

  • Follow us on: