કડાદરામાં આવેલી એક ફાર્મા કંપનીના સંચાલક સાથે થયેલી છેતરપિંડી મામલે રાજ્યસભાના પૂર્વ સાંસદ, તેમના પુત્રવધૂ સહિત ચાર વ્યક્તિઓ સામે દહેગામ પોલીસ મથકમાં છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


કડાદરામાં ડોક્ટર કેર ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ નામની ફાર્મા કંપની આવેલી

હંસપુરા ખાતે રહેતા હરેશ પટેલે દહેગામ પોલીસ મથકમાં રાજ્યસભાના પૂર્વ સાંસદના પુત્ર તરુણ જ્યંતિ બારોટ તથા ફાલ્ગુની તરુણ બારોટ (બંને રહે.ગાંધીનગર ) તથા કર્તવ્ય બ્રહ્મભટ્ટ (રહે. પેથાપુર) તેમજ ભુવનેશ સિંગલ (રહે. અમદાવાદ) સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેઓ બાકરોલમાં જય અંબે ક્લિનિક ચલાવે છે અને તેઓની કડાદરામાં ડોક્ટર કેર ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ નામની ફાર્મા કંપની આવેલી છે.

સમયસર લોનના હપ્તા ન ભરાતા એકાઉન્ટ એનપીએ થયું હતું અને બેંકે કંપનીને સીલ કરી હતી

આ કંપની પર તેઓએ ત્રણ કરોડની લોન લીધી હતી. ત્યારબાદ આર્થિક સ્થિતિ કથળતા સાત લાખના માસિક એવા આઠ હપ્તા સમયસર બેંકમાં ભરપાઈ કરી શક્યા નહતા. જેથી તેમનું એકાઉન્ટ એનપીએ થયું હતું અને બેંકે કંપનીને સીલ કરી હતી. આ દરમિયાન તેમનો સંપર્ક સીએ ભુવનેશ સીંગલ સાથે થયો હતો. ભુવનેશે ડોક્ટરનો પરિચય તરુણ બારોટ, ફાલ્ગુની તરુણ બારોટ, કર્તવ્ય બ્રહ્મભટ્ટ સાથે કરાવ્યો હતો. તેઓએ ફાલ્ગુની બારોટને કંપનીની મશીનરી તથા બિલ્ડીંગનો વેચાણ કરાર બાનાખત 1.75 કરોડમાં કરીને પૈસા બેંકમાં ભરી દીધા હતા.

ખોટા સિક્કા અને સહીના આધારે વીજબિલમાં નામ પણ ટ્રાન્સફર કરાવી લીધુ

જોકે ત્યારબાદ ડોક્ટરે લીધેલા નાણા પૈકી 25 લાખ પરત આપ્યા હતા. બાકીના 1.54 કરોડના બદલામાં ફાલ્ગુનીબેન પટેલને સિક્યૂરિટી પેટે ડોક્ટર કેર ફાર્મા કેર કંપનીનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. ડોક્ટરે વેચાણ દસ્તાવેજમાં ઉલ્લેખ ના હોય એવી કંપનીમાં રહેલા પંખા, એસી સહિતની ચીજવસ્તુઓ, કંપનીના લેટરપેડ અને સિક્યુરીટી પેટે આપેલા ચેક પરત માગ્યા હતા. પરંતુ તે પણ પરત કર્યા નહતા. આ ઉપરાંત ખોટા સિક્કા અને સહીના આધારે વીજબિલમાં નામ પણ ટ્રાન્સફર કરાવી લીધુ હતું. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણી તેઓએ ઉપરોક્ત ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે ગુનો નોંધ્યો છે.


  • Follow us on: