દહેગામના વાસણા સોગઠી ગામે 8 લોકોના મોત થતા PM નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. PMએ X પોસ્ટના માધ્યમથી શ્રદ્વાંજલિ પાઠવી છે. જેમાં લખ્યું છે કે ‘ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ અર્પણ કરે’ તેમજ દહેગામના વાસણા સોગઠી ગામમાં યુવાનોના મૃત્યુ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે X પોસ્ટ પર શ્રદ્ધાંજલિ પાઠવી લખ્યું છે કે યુવાનોના ડૂબી જવાથી મોત મામલે દુખી છું.
વાસણા સોગઠી ગામે 10 લોકો નદીમાં ડૂબ્યા હતા
દહેગામમાં ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના જોવા મળી છે. વાસણા સોગઠી ગામે 10 લોકો નદીમાં ડૂબ્યા હતા. મેશ્વો નદીમાં ડૂબી જવાથી 8 લોકોના મોત થયા છે. ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે મેશ્વો નદીમાં ગણેશવિસર્જન સમયે 10 લોકો ડૂબ્યા હતા, જેમાંથી 8નાં મોત થયાં છે, રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં ગણેશવિસર્જન દરમિયાન બનેલી આ ચોથી દુર્ઘટના છે, જેમાં 15 લોકોનાં મોત નીપજ્યા છે. બુધવારે પાટણમાં વિસર્જન સમયે ડૂબી જતાં ચાર લોકોનાં, જ્યારે નડિયાદમાં 2 અને જૂનાગઢમાં 1 યુવકનું મોત થયું હતું.
ગણેશવિસર્જન સમયે જ કરુણાંતિક સર્જાઈ
દહેગામના વાસણા સોગઠી ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં ગણેશવિસર્જન સમયે જ 10 લોકો ડૂબ્યા હતા, જેની જાણ થતાં જ દહેગામ ફાયરબ્રિગેડની ટીમ અને બહિયલ તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ગણેશવિસર્જન સમયે અકસ્માતે 10 લોકો ડૂબ્યા બાદ સ્થાનિક દ્વારા યુવકોના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે. તેમજ NDRFની ટીમ પણ બોલાવવામાં આવી છે. પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
નડિયાદના અને મંજીપુરાના મામા-ફોઈના પુત્ર ગણેશ વિસર્જન કરવા જતાં રવિવારે બીલોદરાની શેઢી નદીમાં ડુબ્યા હતા. જોકે, ઘટનાના 24 કલાક બાદ એક યુવાનનો મૃતદેહ દેગામ ગામની શેઢી નદીમાંથી મળી આવ્યો હતો. જ્યારે અન્ય યુવાનનો મૃતદેહ મોડી સાંજે ગાડવા પાસેની નદીના પાણીમાંથી મળી આવ્યો હતો. આ બનાવ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસે અપમૃત્યુની નોંધ કરી હતી.