- રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો આજે બીજો દિવસ
- મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરની પી.એમ.શ્રી તાલુકા શાળા નં-1ની મુલાકાત લીધી
- સાક્ષરતા દરમાં વધુને વધુ વૃદ્ધિ કરવા શાળા પ્રવેશોત્સવ મહત્વપૂર્ણ
આજે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો બીજો દિવસ છે, ત્યારે મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરની પી.એમ.શ્રી તાલુકા શાળા નં-1ની મુલાકાત લીધી અને બાળકોનું નામાંકન કરાવ્યું છે અને કહ્યું કે વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણની સુવિધા આપીને સાક્ષરતાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા શાળા પ્રવેશોત્સવથી રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, સમાજના તમામ વર્ગોના સંતાનો માટે શિક્ષણ સરળ અને સુલભ બને, છેવાડાના પરિવારો અને ગામડાના વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણની સુવિધા આપીને સાક્ષરતા દરમાં વધુને વધુ વૃદ્ધિ કરવા શાળા પ્રવેશોત્સવ મહત્વપૂર્ણ બન્યો છે.
મુખ્યમંત્રીએ શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા સાથે દીકરીઓના અભ્યાસને વેગ આપવા શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવની 21મી કડીના બીજા દિવસે છોટા ઉદેપુરમાં મુખ્યમંત્રીએ શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ છોટાઉદેપુરની પી.એમ.શ્રી તાલુકા શાળા નં-1 ની મુલાકાત લઈ આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1 માં પ્રવેશપાત્ર ભૂલકાઓ – બાળકો તેમજ ધોરણ-9 તથા ધોરણ-11ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને ઉમંગ ઉલ્લાસ સાથે તેમનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારોમાં આંતર માળખાકીય સુવિધાઓ પુરી પાડી છે. દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના તથા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના અમલી બનાવી છે. એટલું જ નહીં, ઉચ્ચ શિક્ષણ માટેની અનેકવિધ યોજનાઓ પણ રાજ્ય સરકારે શરૂ કરી છે. સરકારની સાથે શિક્ષકોની સહભાગીતા અને વાલીઓની જાગૃતિ થકી ગુજરાત શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બન્યુ છે.
શાળામાં બાળકોની નિયમિતતા અંગે પણ શિક્ષક સજાગ બન્યા
આજે બાળકને સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર લેબ, સ્કીલ બેઈઝ્ડ એજ્યુકેશન શિક્ષકો દ્વારા સરકાર પૂરું પાડે છે. શિક્ષણમાં આમૂલ પરિવર્તન થયું છે તથા શાળામાં બાળકોની નિયમિતતા અંગે પણ શિક્ષક સજાગ બન્યા છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાત માટે શિક્ષણ પાયામાં છે.
આ દરમિયાન મુખ્યમંત્રીએ શાળાના લર્નિંગ કોર્નરની મુલાકાત લીધી હતી અને શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. ત્યારે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ સાંસદ નારણ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, અગ્રણી ઉપેન્દ્ર રાઠવા, જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.કે પરમાર, અધિકારી-પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.