સમગ્ર રાજ્યમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ભારે વરસાદને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની થઈ હતી, જેમાં રાજ્ય સરકાર દ્વારા 33 ટકાથી વધુ નુકસાનીનું સર્વે કરીને કૃષિ રાહત પેકેજમાં પાક નુકસાનીની સહાય આપવાની જાહેરાત કરી હતી.
33 ટકાથી વધુ નુકસાન માટે સર્વે કરવામાં આવ્યો
હળવદ તાલુકામાં ખેડૂતોને 33 ટકાથી વધુ નુકસાન માટે સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં હળવદના રાતાભેર ગામે સર્વે કરવામાં આવ્યો હતો, જેના ખેતરની અંદર સર્વે નથી થયો તેવા લોકોને પણ વળતર મળ્યું છે અને ખરેખર જેના ખેતરમાં નુકસાન થયું છે, તેને વળતર મળ્યું નથી તેવા આરોપ સાથે હળવદ તાલુકા પંચાયત કચેરીમાં ખેતીવાડી વિસ્તરણ અધિકારી સમક્ષ ખેડૂતોએ રજૂઆત કરી હતી. હળવદમાં રાતાભેર ગામના ખેડૂતોએ જણાવ્યું કે પાક નુકસાનીની સહાય માટે 51 ખેડૂતોની જાહેરાત બાદ પાછળથી 15 ખેડૂતોના નામ ઉમેરાયા છે, એવો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને સર્વે યોગ્ય નહીં કરાયાની રજૂઆત કરવામાં આવી હતી.
સર્વેમાં ગેરરીતિ થઈ હોવાના ખેડૂતોએ આક્ષેપ લગાવ્યા
હળવદ તાલુકા પંચાયત કચેરીમાં ખેતીવાડી વિસ્તરણ અધિકારીને યોગ્ય સર્વે ન થયો હોય તેમ જ સર્વે ઓફિસમાં બેઠા કરી નાખવામાં આવ્યો હોય લોકોના ખેતરમાં જઈને કરવામાં ન આવ્યો હોય તેમજ એક ખેતરમાં વરસાદ પડ્યો હોય અને બાજુના ખેતરમાં વરસાદ ન પડ્યો હોય તે પ્રમાણમાં સર્વે કરવામાં આવ્યો છે તો સર્વેમાં ગેરરીતિ થઈ હોવાના ખેડૂતોએ આક્ષેપ લગાવ્યા છે.
આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી
રાતાભેરમાં આશરે 500થી વધુ ખેડૂતો છે અને 350થી વધારે ખેડૂતોએ પાક નુકસાનીના વળતર બાબતે અરજી કરી હતી, જોકે હવે કૃષિ રાહત પેકેજમાં નામ નહીં આવતા તેમને ઝેરોક્ષ સહિતના ખર્ચો કરવો પડ્યો છે. સાથે 'જય જવાન જય કિસાન' તેમજ 'ખેડૂતોને ન્યાય આપો' સહિતના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી.













