રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી મળવા અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યના 97 ટકા ગામોને દિવસે વીજળી મળતી થઈ છે. જ્યારે બાકી રહેલા ત્રણ ટકા વિસ્તારોમાં કે જેમાં બનાસકાંઠા,દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લાના જમીન અને કાયદાકીય પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. આ કામગીરી ટુંક સમયમાં જ પૂર્ણ કરી ખેડૂતોને વીજળી અપાશે. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા કુલ ૮૪૬ ગામડાઓ છે. જેના 42,670 ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવી રહી છે.
ઊર્જા મંત્રીએ જણાવ્યું કે ખેડૂતોને રાત્રિના સમયે વીજ પુરવઠો આપવાના કારણે જાનવરોનો ભય, શિયાળાની કડકડતી ઠંડી અને રાત ઉજાગરામાંથી રાહત આપવા માટે રાજ્ય સરકારે નક્કર પગલાં તરીકે 'કિસાન સૂર્યોદય યોજના' અમલમાં મૂકી છે. જેના પરિણામે ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે અને તેનો ફાયદો ખેડૂતોને સામાજિક અને કુટુંબજીવનમાં પણ થયો છે.













