- કોર્પોરેશન દ્વારા 7.92 કરોડ બાકી વેરો વસુલવા કાર્યવાહી
- બાકી વેરો વસુલવા 122 મિલ્કત ધારકોનું લિસ્ટ તૈયાર
- ત્રણ નોટિસ આપ્યા પછી બાકીદારોની મિલ્કત જપ્ત કરાશે
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7 કરોડ 92 લાખ બાકી મિલ્કત વેરાની ઉઘરાણી માટે 122 મિલ્કત ધારકોની યાદી તૈયાર કરવામાં આવી છે. હવે આગામી સમયમાં મિલ્કત ધારકોને નોટિસો ફટકારવામાં આવનાર છે. તેમ છતાં પણ મિલ્કત વેરો ભરવામાં નહીં આવે તો મિલ્કત જપ્તી સુધીના પગલા ભરવાની પણ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
મિલ્કતોની આકારણી કરવામાં આવી
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં 1 લાખ 95 હજાર જેટલી મિલકતોની આકારણી કરવામાં આવેલ છે. જેમાં દક્ષિણ ઝોનમાં સૌથી વધુ એક લાખની આસપાસ, મધ્ય ઝોનમાં 60 હજાર જેટલી અને ઉત્તર ઝોનમાં 35 હજાર જેટલી મિલકતો આવેલ છે. ગત વર્ષે મનપાનાં રેકોર્ડમાં 1 લાખ 78 હજાર મિલકતો હતી. જે આ વર્ષે 17 હજાર વધીને 1.95 લાખ જેટલી થઈ છે. જેને લઈ કોર્પોરેશનની તિજોરીમાં અત્યાર સુધીમાં મિલકતવેરાની 56 કરોડ 48 લાખ 38 હજાર 837 જેટલી વસુલાત કરવામાં આવી છે.
33.43 કરોડથી વધુ વેરો ભરાયો છે
જે અંતર્ગત ઓનલાઈન રૂ. 22.88 કરોડ અને ઓફલાઈન રૂ. 33.43 કરોડથી વધુ વેરો ભરાયો છે. તેમાં દક્ષિણ ઝોનમાંથી સૌથી વધુ રૂ. 32.20 કરોડ, ઉત્તર ઝોનમાંથી રૂ. 12.45 કરોડ તથા મધ્ય ઝોનમાંથી રૂ. 10.60 કરોડની વસુલાત થવા પામી છે. કોર્પોરેશન દ્વારા હવે બાકીદારો પાસેથી મિલકતવેરાની વસુલાત માટે કમર કસવામાં આવેલ છે.
જે મુજબ 122 બાકી મિલ્કત ધારકોની યાદી તૈયાર કરવામાં આવી છે. મિલ્કત વેરાની 7.92 કરોડ જેટલી બાકી વસુલાત માટે બાકીદારો આગામી દિવસોમાં નોટિસ મોકલી આપવામાં આવશે. ત્રણ વખત નોટિસો આપ્યા પછી પણ મિલ્કત ધારકો વેરો નહીં ભરે તો મિલ્કત જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.