ગીર સોમનાથમાં ઈકો ઝોનનો મુદ્દો યથાવત જોવા મળી રહ્યો છે. ઈકો ઝોનની અંતિમ લડાઈને મજબૂત બનાવવા તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામે પ્રવીણ રામે બોલાવેલી જનસભામાં વિશાળ સંખ્યામાં મોટી જનમેદની ઉમટી હતી.
ઈકોઝોન નાબૂદ નહીં થાય તો ભાજપનો બહિષ્કાર કરાશે: પ્રવીણ રામ
આ મહા સંમેલનમાં ઉપસ્થિત તમામ લોકોએ ઈકોઝોન નાબૂદ કરવાની માગ કરી અને આ મહા સંમેલનમાં ઉપસ્થિત તમામ લોકોએ હાલમાં આવનારી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. મતના બહિષ્કારની ચીમકી બાદ પણ સરકાર ઈકો ઝોન નાબૂદ ના કરે તો ભાજપનો બહિષ્કાર કરવાની ચીમકી પ્રવીણ રામ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
15થી 18 તારીખને ઈકો ઝોન મહાસંગ્રામ તરીકે જાહેર કરી
ઈકો ઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામે ઈકો ઝોનની અંતિમ લડાઈને મજબૂત બનાવવા આવનારી 15થી 18 તારીખે ઈકો ઝોન મહાસંગ્રામ તરીકે જાહેર કરી છે અને આ ઈકો ઝોન મહાસંગ્રામ અંતર્ગત પ્રવીણ રામે તાલાલા ખાતે આવનારી 15થી 18 તારીખમાં વિશાળ ટ્રેક્ટર રેલીની જાહેરાત કરી તેમજ વિસાવદર અને અન્ય તાલુકાઓમાં પણ અન્ય પ્રોગ્રામોની જાહેરાત કરી છે.
સભામાં અનેક આગેવાનો રહ્યા હાજર
ચિત્રાવડ ખાતેની આ સભામાં ઈકો ઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામની સાથે કરશનબાપુ, હિતેશ વઘાસિયા, દેવેન્દ્રભાઈ, સેજલબેન ખૂંટ, હરેશભાઈ વઘાસિયા, ડી.બી.સોલંકી, વિજય હીરપરા, જાફરભાઈ, સિરાજભાઈ, ફિરોજભાઈ, રાજભાઈ, ભીમસી પંડિત તેમજ અન્ય આગેવાનો અને સરપંચો પણ હાજર રહ્યા હતા.
જૂનાગઢ જિલ્લામાં ઈકો ઝોનનો વિરોધ યથાવત
તમને જણાવી દઈએ કે જૂનાગઢ જિલ્લામાં ઈકો ઝોનનો વિરોધ પણ યથાવત જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ ગામડાઓમાં ઈકો ઝોનના રાક્ષસના પૂતળાનું દહન કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિસાવદરના નાના કોટડા અને મેંદરડા ગામમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય પંથકમાં ઈકો ઝોનને મામલે ભારે આક્રોશ લોકોમાં જોવા મળી રહ્યો છે.
ઈકોઝોનથી કોઈ ખેડૂતને મુશ્કેલી નહીં પડે: મનસુખ માંડવિયા
ઈકોઝોન મુદ્દે મંત્રી મનસુખ માંડવિયાએ મોટું નિવેદન આપ્યું છે. ઈકો ઝોનથી કોઈ ખેડૂતને મુશ્કેલી નહીં પડે. ઈકોઝોન લાગુ થવાથી મોટા ઉદ્યોગો નહીં આવી શકે,ઈકો ઝોન ખેતી માટે ફાયદારૂપ છે. અવાજ કરે તેવી પ્રવૃત્તિ નહીં કરી શકાય તે ફાયદારૂપ છે. ખેડૂતોને નુકસાન થતું હોય તે મુદ્દાઓ પર ચર્ચા કરી શકાય છે. સરકાર કોઈ વ્યક્તિગત માટે કામ કરતી નથી. સરકાર જનતા માટે કામ કરે છે.













