મહેસૂલી સેવાઓ નાગરિકોને સરળતાથી અને ત્વરિત મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂત દ્વારા તેની એકમાત્ર બચત રહેતી ખેતીની જમીન પણ જો બિનખેતી કરાવે તો પણ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે તેવો પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવેલો છે. રાજ્યમાં સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં 7221 ગામોના 12 લાખથી વધુ મિલકતોના પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરી સમગ્ર દેશમાં ફેઝ-2માં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે.


વિવિધ શહેરોમાં નવી સબ-રજીસ્ટ્રાર કચેરીઓના બાંધકામ માટે કરાઈ જોગવાઈ

સાબરકાંઠાના હિંમતનગર ખાતે નવી કલેક્ટર કચેરી અને વેરાવળ, પોરબંદર, દ્વારકા, ભચાઉ, વઢવાણ, બાયડ, આંકલાવ, સોજીત્રા, નડિયાદ, લુણાવાડા, જલાલપોર, સાગબારા અને ઉમરપાડા ખાતે નવા મહેસૂલી ભવનોના બાંધકામ, અંજાર-કચ્છ અને ઊંઝા-મહેસાણા ખાતે સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટની નવી કચેરીઓના બાંધકામ અને અમદાવાદ શહેર, સાણંદ, દેત્રોજ, રાધનપુર, રાજકોટ શહેર, લોધિકા, મોરબી, અંકલેશ્વર અને ઉમરગામ ખાતે નવી સબ-રજીસ્ટ્રાર કચેરીઓના બાંધકામ માટે 66 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે રૂપિયા 429 કરોડની જોગવાઈ

ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગથી મહેસૂલી સેવાઓના વિવિધ પોર્ટલના અપગ્રેડેશન અને આઈ.ટી. સાધન-સામગ્રીની ખરીદી માટે રૂપિયા 87 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાગરિકોને મહેસૂલી સેવાઓ ઝડપી પૂરી પાડવા વિવિધ કચેરીઓ માટે 230 નવી જગ્યાઓ ઊભી કરવા રૂપિયા 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય આપત્તિ શમન નિધિમાંથી ઈમરજન્સી રિસ્પોન્સ માટે પૂર નિયંત્રણ અને ફાયરને લગતા સાધનોની ખરીદી સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે રૂપિયા 429 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ રૂપિયા 1999 કરોડની જોગવાઈ

'સેવા સેતુ' અંતર્ગત વિવિધ શહેરો અને ગામોમાં યોજાયેલા કાર્યક્રમોમાં નાગરિકોની 3 કરોડ 7 લાખથી વધારે અરજીઓનો તત્કાલ સ્થળ ઉપર નિકાલ થયેલો છે. ત્યારે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ એ.ટી.વી.ટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે રૂપિયા 1311 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ અંતર્ગત 10 જિલ્લાના 13 તાલુકાઓમાં શિશુ મૃત્યુ દર, માતા મૃત્યુ દર, કુપોષણ અને એનિમિયા ઘટાડવા માટે પ્રતિ વર્ષ તાલુકાવાર રૂપિયા 1 કરોડ એમ કુલ 13 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 

  • Follow us on: