કંસરી દેવી- આદિવાસીઓના દેવી છે જ્યારે પણ કોઈના ઘરમાં લગ્ન થાય, ખેતરમાંથી નવું ધાન નીકળે, કે કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે કંસરી દેવીની સ્થાપના કરવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે.
કંસરી દેવીને માતા અન્નપૂર્ણા પણ કહી શકાય
જેમની સ્થાપના, પૂજા કરવાથી ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે અને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે, આમ કંસરી દેવી prosparity- સમૃદ્ધિના દેવી માનવામાં આવે છે. એમની કૃપાથી સુખ સમૃદ્ધિ મળે છે. આમ કંસરી દેવી આદિવાસીઓ માટે પાયાના દેવી ગણાય છે. વારલી આદિજાતિના લોકો દક્ષિણ ગુજરાતના વલસાડ અને પાસેના મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં રહે છે. તેઓ તેમની આગવી ચિત્રકલા માટે જાણીતા છે ખાસ કરીને વારલી સ્ત્રીઓ ઘરની આગળ દીવાલ ઉપર પલાળેલા ચોખાને પથ્થર પર ઘૂંટીને બનતા સફેદ રંગથી તહેવારો સગાઈ, લગ્ન, પાકની લણણી, જન્મ જેવા વિવિધ પ્રસંગોએ ઘરની લીપેલી દીવાલ ઉપર ચિત્રકામ કરે છે.
ચિત્રોમાં રોજબરોજના જીવન ઉત્સવો, નૃત્યો, જંગલો, પર્વતો, નદી, ઝરણા દેવી તથા દેવતાઓ વિગેરે દોરવામાં આવે છે
નૃત્ય કરતા લોકો, કુવે પાણી ભરતી બહેનો, ગોવાળિયા, ચરતા પશુઓ, તાડના ઝાડ પરથી તાડી ઉતારતા લોકો, જુદા જુદા વૃક્ષો, પંખીઓ, સાપ, અજગર, ઝૂંપડાઓ ઘર ખેતરમાં થતા કામો જેવા કે દરણું દળતી, વલોણું કરતી, ચોખા ખાંડતી, અનાજને સુપડાથી સાફ કરતી, છોકરા હીંચકાવતી, કચરો વાળતી, રસોઈ બનાવતી બહેનો, ખેતર ખેડતા, નીંદતા, વાવણી કરતા લાકડાની ભારી લઈ જતા, ઇન્દ્રદેવને વધાવતા ,વાઘદેવની પૂજા એ જતા, બળદગાડું લઈને જતા, શિકારના દ્રશ્યો વગેરે જોવા મળે છે. જંગલી પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ,નાગદેવ, પંચોરાદેવ ઇન્દ્ર દેવ,વાઘ દેવ તથા કંસરી દેવી ચિત્રોના મુખ્ય વિષય છે.
વારલી ચિત્રકલા 1200 વર્ષ જૂની છે
વધુમાં પલાળેલા ચોખાથી બનતા સફેદ રંગ ઉપરાંત સિંદૂર ગુલાલ કંકુ મધ કાળી રાખ પણ પ્રસંગોચિત રીતે ચિત્ર સામગ્રી તરીકે વાપરવામાં આવે છે. સામાન્ય રીતે ભૌમિતિક આકારો ત્રિકોણ વર્તુળ અર્થ ગોળાકાર તથા ચોરસ જેવા વિવિધ આકારોની મદદથી તથા રેખાઓ દ્વારા આ ચિત્રો બનાવવામાં આવે છે. વારલી ચિત્રકલા ૧૨૦૦ વર્ષ જૂની છે.આધુનિક જગતના આક્રમણથી વારલી જાતિના જીવનમાં પણ ફેરફારો આવતા થયા છે અને આ કલા અન્ય આદિમ કલાઓની માફક કાળના ગર્ભમાં લુપ્ત થઈ રહી છે ત્યારે બજેટ પોથી પર આ ચિત્રને સ્થાન આપી વારલી ચિત્ર કલાને જીવંત રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા એક ઉમદા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે,આ વર્ષે પણ બજેટ પોથી પર શ્રી બીના હસમુખ પટેલ એ વારલી ચિત્રકલા દોરી છે,તેઓ છેલ્લા ચાર વર્ષથી બજેટ પોથી પર ચિત્ર દોરી આ સેવા આપી રહ્યા છે.
આ પણ વાંચો : Surat News : સુરતમાં વ્યાજખોરોએ SMCની મહિલા સફાઇ કામદાર પાસેથી 2.30 લાખના બદલે 5.45 લાખ વસૂલ્યા હોવાનો આક્ષેપ