- હિલોલ ગામે ચામાચીડિયા ઝાડ પરથી નીચે પડ્યા
- હીટસ્ટ્રોકના કારણે ચામાચીડિયા નીચે પડ્યા હતા
- ગ્રામજનોએ ઝાડ પર પાણીનો છંટકાવ કર્યો
દહેગામમાં હીટવેવની અસર પક્ષીઓ પર વર્તાઈ છે. જેમાં હીટવેવની અસરથી 200થી વધુ ચામાચીડિયાના મોત થયા છે. હિલોલ ગામે ચામાચીડિયા ઝાડ પરથી નીચે પડ્યા હતા. તેમાં હીટસ્ટ્રોકના કારણે ચામાચીડિયા નીચે પડ્યા હતા. ગ્રામજનોએ ઝાડ પર પાણીનો છંટકાવ કર્યો હતો. ત્યારે કાળઝાળ ગરમીની અસર પક્ષીઓ પર વર્તાઈ રહી છે.
200થી વધુ ચામાચીડિયાના મોત થતા ગામના લોકોમાં અચંબામાં પડી ગયા
હિલોલમાં હીટવેવની અસરથી 200થી વધુ ચામાચીડિયાના મોત થતા ગામના લોકોમાં અચંબામાં પડી ગયા છે. જેમાં દહેગામના હિલોલમાં હીટવેવની અસરથી 200થી વધુ ચામાચીડિયા મોતને ભેટતા જીવદયા પ્રેમીઓમાં દુઃખની લાગણી વ્યાપી ગઇ છે. તેમજ ફાયર બ્રિગેડ તથા યુવાનોએ વડના ઝાડ ઉપર પાણીનો છંટકાવ કરીને અબોલ જીવને ઠંડક આપી છે. દહેગામ તાલુકાના હિલોલ ગામમાં આવેલા શિવાપુરા વિસ્તારમાં આવેલા એક વડના ઝાડ ઉપર અસંખ્ય ચામાચીડિયાનો વસવાટ છે. સતત 45 ડિગ્રીની ગરમીમાં હિટવેવ અને સનસ્ટોકની અસરથી આ ચામાચીડિયા પૈકી 100 થી વધુ ચામાચીડીયા નીચે પડીને મોતને ભેટ્યા હતા.
અબોલ જીવો માટે કરવામાં આવેલ આ રાહતના પ્રયાસને લોકોએ બિરદાવી
કાળઝાળ ગરમીની અસરથી અબોલ જીવ મોતને ભેટ્યા હોવાનું પ્રાથમિક વિગતો છે. ચામાચીડિયાના મોતની ઘટનાની જાણ થતા અમદાવાદની પારેવડા જીવ દયા ગ્રુપના યુવાનો દોડી આવ્યા હતા યુવાનોએ તાત્કાલિક દહેગામ ફાયર બ્રિગેડના સૂર્યોદયસિંહનો સંપર્ક કર્યો હતો અને સ્થળ ઉપર બોલાવ્યા હતા. ફાયર બ્રિગેડની મદદથી તાત્કાલિક ધોરણે વડના ઝાડ ઉપર પાણીનો છંટકાવ કરીને ચામાચીડિયાને ઠંડક પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન વડના ઝાડ નીચે ઢગલો થઈને પડેલા મૃત ચામાચીડિયાઓનો નિકાલ કરવાની તજવીજ હાથ ધરી હતી. 1,000થી પણ વધુ ચામાચીડિયાનો વસવાટ ઝાડ ઉપર હોવાનું માનવામાં આવે છે જે પૈકી 200 જેટલાના મોત થતા જીવ દયા પ્રેમીઓમાં દુઃખની લાગણી છલકાઈ ગઈ હતી. કાળઝાળ ગરમીમાં અબોલ જીવો માટે કરવામાં આવેલ આ રાહતના પ્રયાસને લોકોએ બિરદાવી હતી.