ગુજરાતમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો. દિનપ્રતિદિન અકસ્માતમાં મોત થવાના કિસ્સામાં વધારો જોવા મળ્યો. રાજ્યમાં પોરબંદર નજીક યાત્રાળુઓને અકસ્માત નડ્યો જ્યારે અન્ય દાદરા નગર હવેલીમાં અકસ્માતની ઘટના બનવા પામી. બંને અકસ્માતની ઘટનામાં કૂલ 4 લોકોના મોત નિપજ્યા જ્યારે 12 લોકોને ગંભીર ઇજા પંહોચી.
દ્વારકા-સોમનાથ હાઈવે પર અકસ્માત
પોરબંદર નજીક દ્વારકા-સોમનાથ હાઈવે પર અકસ્માતની ઘટના બનવા પામી. પોરબંદર નજીક કુછડી ગામ પાસે મીની બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો. મીની બસમાં 19 જેટલા મુસાફરો સવાર હતા. બસમાં કર્ણાટકનો પરિવાર મુસાફરી કરી રહ્યો હતો. કર્ણાટકનો પરિવાર સોમનાથથી દ્વારકા જતા હતા ત્યારે અકસ્માત ઘટનાનો ભોગ બન્યો. કછુડી ગામ પાસે મીની બસની ટ્રક સાથે જોરદાર ટક્કર થતાં કર્ણાટક પરિવારના બે સભ્યોના ઘટનાસ્થળ પર જ મોત નિપજયા. જ્યારે અન્ય 12 યાત્રાળુઓને ગંભીર ઇજાને પગલે પોરબંદર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા.
દાદરા નગર હવેલીમાં બસ ચાલકે સર્જ્યો અકસ્માત
રાજ્યમાં અન્ય એક અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થયાનું સામે આવ્યું. દાદરા નગર હવેલીમાં એસટી બસના ચાલકે યુવાનોને અડફેટે લીધા. ST બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોંગ સાઈડ પર જતી રહી અને રોડ પર ચાલતા બે યુવાનોને ટક્કર મારી. ગંભીર ઈજાને પગલે 2 યુવાનોનું મોત નિપજયું. અકસ્માતને પગલે લોકોની ભીડ ભેગી થઈ અને પોલીસને જાણ કરી. દરમિયાન એસટી ચાલક ફરાર થઈ ગયો. પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી ગઈ. પોલીસની પ્રાથમિક તપાસમાં આ બંને યુવાન લવાસાના હોવાનું સામે આવ્યું.મૃતક યુવાનોના મૃતદેહને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર એસટી ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા.