ગુજરાત વિધાનસભા ખાતે આજ રોજ ગ.વા.માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો તથા I.CP.S અને G.N.L.U ના સંયુક્ત ઉપક્રમે લેજિસ્લેટીવ ડ્રાફ્ટીંગ તાલીમ કાર્યક્રમનો શુભારંભ થયો હતો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં મુલ્કી સેવા વર્ગ-1ના વિવિધ અધિકારીઓ સહભાગી બની તાલીમમાં ભાગ લીધો હતો.


આ કાર્યક્રમમાં કાયદા નિષ્ણાતો દ્વારા વિવિધ ક્ષતિરહિત કાયદાઓની રચના કરવા માટેના મૂળભૂત સિદ્ધાંતો તથા ભારતીય બંધારણમાં કરવામાં આવેલ કાયદાકીય જોગવાઈઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમને સંબોધતા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે જાહેર જીવનમાં મેં ઘણી બધી ઘટનાઓમાં કાયદાની અગત્યતા સમજી છે. કાયદાના ડ્રાફટીંગમાં ઉભી થયેલી ગૂંચવણ તેના અમલીકરણમાં મુશ્કેલી ઉભી કરે છે. જેથી ડ્રાફટીંગમાં તેની સ્પષ્ટતા જરૂરી છે. કાયદો બનાવવા ઉપયોગમાં લેવાતા શબ્દો સરળ હોવા જોઈએ. જેથી કાયદો સામાન્ય માણસ પણ સરળતાથી સમજી તેનું પાલન કરી શકે.

શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કોઈપણ કાયદો બનાવતા પહેલા પ્રજાના પ્રતિનિધિઓને પણ તેના ડેટા આધારિત જાણકારી આપવી જોઈએ. જેથી ગૃહમાં ધારાસભ્યો તેના ડેટા આધારિત ચર્ચા કરી શકે. કોઈપણ કાયદો અમલમાં આવે તે પહેલા તેનું અર્થઘટન પ્રજા માટે કેવું હશે તેને પણ ચકાસવું જોઈએ. આજે ગુજરાત વિધાનસભા ખાતે આયોજિત આ તાલીમ ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટે જનરલથી લઈ નિવૃત ન્યાયાધીશ આ તાલીમમાં અધિકારીઓને ડ્રાફટીંગ બાબતે માર્ગદર્શન કરશે. જે આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે. તેમનું માર્ગદર્શન આગામી સમયમાં કાયદો ડ્રાફટીંગ કરતાં અધિકારીઓ માટે ખુબ ઉપયોગી થશે.

આ કાર્યક્રમમાં રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, લેજિસ્લેટીવ ડ્રાફ્ટીંગની આજના સમયમાં તાતી જરૂરિયાત છે, તેમણે કોઈ પણ કાયદાકીય ડ્રાફ્ટ તૈયાર કરતા પહેલા તેની સમાજ પર કેવી અસર થશે તે અંગે કેટલાક ઉદાહરણ દ્વારા તાલીમાર્થીઓને ડ્રાફ્ટના લખાણ અંગે ખ્યાલ આપ્યો હતો.

  • Follow us on: