ભારત સરકારના 'ટીબીમુકત ભારત અભિયાન' અંતર્ગત ટીબી રોગને નાબૂદ કરવા માટે ૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝૂંબેશ અમલી છે. જેનો હેતુ ટીબી રોગના કારણે થતા મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો લાવીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના 'ટીબીમુકત ભારત'ના સ્વપ્નને સાકાર કરવાનો છે. ત્યારે વડાપ્રધાનશ્રીના આ નિર્ધારને ચરિતાર્થ કરતા મુખ્યમંત્રીભૂપેન્દ્રભાઈ પટેલની ટીમ ગુજરાતમાં ટાર્ગેટેડ એપ્રોચની પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહી છે. બોટાદ જિલ્લામાં કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય અધિકારીશ્રી ધોળકીયાના વડપણ હેઠળ તા. ૦૭ ડિસેમ્બર, ૨૦૨૪થી આ ઝૂંબેશ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ટીબીના નવા કેસ શોધી ઝડપી સારવારની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.


ટીબીનું નિદાન પોઝિટીવ

બોટાદ જિલ્લામાં તા. ૭/૧૨/૨૦૨૪થી આજ દિન સુધી ૧૦૦ દિવસ સઘન ટીબી કેમ્પેઈન ઝુંબેશ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે ફરીને ટીબીના લક્ષણો ધરાવતા લોકોના એક્સ–રેની તપાસ, તથા ગળફાની તપાસ કરાવવા માટે હોસ્પિટલ ખાતે લઇ જઈ નિદાન કરાવવામાં આવ્યું છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં આજદિન સુધી કુલ ૪૨૦૮ નાગરિકોની તપાસ કરવામાં આવી, જેમાંથી ૧૦ લોકોના ટીબીનું નિદાન પોઝિટીવ આવ્યું છે. તેમજ ૯૧૮ લોકોના ગળફાની તપાસ કરવામાં આવી છે, જેમાંથી ૮ ટીબીનું નિદાન પોઝિટીવ આવ્યું છે.

નિક્ષય પોષણ સહાય

આરોગ્યની ટીમ ટીબીના શંકાસ્પદ દર્દીઓને રોગના નિદાન માટે ગળફાની લેબોરેટરી તપાસ અને છાતીના એક્સરે નજીકના આરોગ્ય કેન્દ્રમાં કરી આપે છે. ટીબી પોઝિટિવ દર્દીઓને દર માસે રુ. ૧૦૦૦ નિક્ષય પોષણ સહાય યોજનાનો લાભ પણ આપવામાં આવે છે.ટીબી થાય તો ગભરાવાની જરૂર નથી. ટીબીનું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાનામાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ટીબીના સારવાર શરૂં થતાં જ બીજાને ચેપ લાગવાની સંભાવના ઓછી થઈ જાય છે.ટીબીના દર્દી સાથે આત્મીયતા કેળવીએ. ટીબીના લક્ષણો જણાય તો તરત જ નિદાન કરાવવું જોઈએ. બે અઠવાડિયાથી સતત ખાંસી, વજન ઓછું થવું, સાંજે તાવ આવવો, રાત્રે પરસેવો થવો જેવા લક્ષણો જોવા મળે તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક સાધવો જોઈએ.

અધૂરી સારવારથી ગંભીર પ્રકારનો ટીબી થઇ શકે છે.

ડોક્ટરની સલાહ મુજબ નિયમિત સંપૂર્ણ સારવાર લેવી અનિવાર્ય છે.ટીબીની નિયમિત રીતે છ માસ સુધી સારવાર પૂર્ણ કરવાથી ટીબીના દર્દી ટીબીમુક્ત થઇ શકે છે.ટીબીના વિનામૂલ્યે નિદાન અને સારવાર માટે નિ:સંકોચ આપના નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ શકો છો, અને સારવાર કરાવી શકો છો. નિયમિત સંપૂર્ણ સારવારથી ટીબી મટી શકે છે.

  • Follow us on: