ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક સામે આવ્યો છે જેમા તળાજાના નવા સાંગણા ગામે મોડી રાત્રીના સમયે દીપડાએ ખેતરમાં ઘુસીને વાછરડીનું મારણ કર્યુ છે,દીપડાના આતંકથી ખેડૂતો ત્રાહિમામ થઈ ગયા છે અને અનેકવાર રજૂઆત કરવા છતાં ફોરેસ્ટ વિભાગ ઘોર નિદ્રામાં દેખાઈ રહ્યું છે,ખેડૂતોના માલઢોર ઉપર છાશવારે દીપડો કરી રહ્યો છે હુમલો,તો દીપડાએ વાછરડીનું મારણ કરતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે.
વન વિભાગ નથી આપતું ધ્યાન !
આ સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો વન વિભાગને પણ આ વાતની જાણ છે તેમ છત્તા વન વિભાગ દીપડાને પકડવાનું કામ નથી કરી રહ્યું તેવો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે,આ વાત એક વખતની નથી લાંબા સમયથી છે,દીપડાએ અનેક વાર વાડામાં જંપલાવીને મારણ કરતો હોય છે,કયારેક એવું પણ થાય છે કે જયારે માલ-ઢોર ચરાવવા જંગલ વિસ્તારમાં જતા હોય છે ત્યારે ઘણીવાર દીપડો હુમલો કરતો હોય છે અને માલ ઢોરને નુકસાન કરતો હોય છે.
મહિસાગર જિલ્લામાં દીપડાએ કર્યુ પશુનું મારણ
મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના રસુલપુર ગામના જંગલમાં આવેલા કદમખંડી વિસ્તારમાં દીપડાએ દેખા દીધી છે. કદમખંડી વિસ્તારમાં રહેતા મોહનભાઈ સરદારભાઈ બારિયાના ઘર આગળ બાંધેલા વાછરડાંનું દીપડાએ મારણ કર્યું હતું. દીપડાએ મારણ કર્યું હોવાની વાતથી ગામની આસપાસના પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. વિરપુર તાલુકાના રસુલપુર ગામ ખાતે આવેલા કદમખંડી વિસ્તારમાં શિકારની શોધમાં નીકળેલો દીપડો ઘર સુધી પહોંચી ગયો હતો. જ્યાં ઘરની સામે બાંધેલા વાછરડાને લઈને જંગલ વિસ્તારમાં ભાગી ગયો હતો પછી વાછરડાનું મારણ કરી આહાર કર્યો હતો.