એનકે પ્રોટિન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના વેસ્ટ ઝોનના ચેરમેન પ્રિયમ પટેલે ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એસોસિયેશનના 21મા વાર્ષિક સંમેલન દરમિયાન ખાદ્ય તેલ ક્ષેત્ર અંગે મહત્વપૂર્ણ આંતરદ્રષ્ટિ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં વૈશ્વિક બજાર પ્રવાહોનું વિશ્લેષણ કર્યું હતું. ગ્રાહક સુરક્ષાને લગતી અને ખાદ્ય તેલ ઉત્પાદનમાં આત્મનિર્ભરતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. 


ઓઇલના સ્ટોકની અછત માર્ચ 2025 સુધી જળવાઈ રહે તેવી સંભાવના 

માર્કેટ ડાયનેમિક્સ અંગે પ્રિયમ પટેલે વિસ્તારથી જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયાના બી40 બાયોડીઝલ મેન્ડેટના લીધે પામ ઓઇલના સ્ટોકની અછત માર્ચ 2025 સુધી જળવાઈ રહે તેવી સંભાવના છે. આ મેન્ડેટ મુજબ ડીઝલમાં 40 ટકા પામ ઓઇલ ભેળવવું જરૂરી છે જેના લીધે માંગમાં નોંધપાત્ર વધારો થશે. ઇન્ડોનેશિયાની ડોમેસ્ટિક માર્કેટ ઓબ્લિગેશન (ડીએમઓ) પોલિસી મુજબ સ્થાનિક ઉપયોગ માટે પામ તેલના ઉત્પાદનનો કેટલોક હિસ્સો અનામત રાખવો પડે છે. આ પોલિસી પ્રમાણે એડજસ્ટમેન્ટ કરતાં વૈશ્વિક નિકાસ પુરવઠો વધુ સંકોચાશે જેના લીધે કિંમતો પર દબાણ આવશે. આ ઉપરાંત ભૂરાજકીય વિક્ષેપો અને મહત્વના વિસ્તારોમાં ઘટેલા ઉત્પાદનના લીધે સનફ્લાવર ઓઇલનો વૈશ્વિક પુરવઠો ઓછો રહ્યો છે જેના લીધે ખાદ્ય તેલની કિંમતોમાં મજબૂતાઈ જોવાઈ છે.

વિશ્વભરમાં સોયાબીનનો પુરવઠો વિપુલ પ્રમાણમાં

કિંમતોના આ વલણોને સંતુલિત કરી શકે તેવા મંદીના પરિબળો પર અસર કરે છે. વિશ્વભરમાં સોયાબીનનો પુરવઠો વિપુલ પ્રમાણમાં છે અને દક્ષિણ અમેરિકામાં વિક્રમી પાક થવાની ધારણા છે જેનાથી સોયાબીન તેલની કિંમતો પર ઘટાડા તરફી દબાણ જોવા મળી શકે છે. નવા નેતૃત્વ હેઠળ યુએસ બાયોડીઝલ પોલિસીમાં ફેરફારોથી બાયોફ્યુઅલ પ્રોડક્શનમાં વેજીટેબલ ઓઇલ માટેની માંગમાં ઘટાડો થાય તેવી શક્યતા છે જેના પગલે કિંમતોનું દબાણ વધુ હળવું થશે. આ ઉપરાંત ગ્લોબલ ક્રૂડ ઓઇલ માર્કેટમાં વધુ પુરવઠાથી ક્રૂડ ઓઇલની કિંમતો ઘટી છે જેનાથી બાયોડીઝલ ઓછું સ્પર્ધાત્મક બન્યું છે અને બાયોફ્યુઅલ ઉત્પાદનમાં વપરાતા ખાદ્ય તેલ માટેની માંગ ઘટી છે.

આરોગ્યને લગતા ગંભીર જોખમો

ખાદ્ય તેલના પેકેજિંગ માટે ફરીથી જૂના ડબ્બા વાપરવાથી નિયમનકારી ધોરણોનું ઉલ્લંઘન થાય છે, સાથે સાથે ગ્રાહકો સામે ખોરાક સંબંધિત ચેપ અને ગંભીર બીમારીઓ જેવા આરોગ્યને લગતા ગંભીર જોખમો ઊભા થાય છે. આ ગેરરીતિઓ નાબૂદ કરવા માટે ખાદ્યાન્ન સુરક્ષા નિયમનોના કડક અમલીકરણની માંગ કરી હતી. તેમણે ખાદ્ય તેલ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.“ભારત તેની ખાદ્ય તેલ જરૂરિયાતોના 60 ટકા કરતાં વધુ જથ્થાની આયાત કરે છે. આ નિર્ભરતા ઘટાડવા માટે સ્થાનિક તેલીબિયાંની વાવણીને પ્રોત્સાહન આપીને અને આધુનિક પ્રોસેસિંગ ટેક્નોલોજીસમાં રોકાણ કરવું જરૂરી છે. કિંમતોમાં સ્થિરતા જાળવવા અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે ખાદ્ય તેલ ઉદ્યોગ આત્મનિર્ભર બને તે જરૂરી છે.

  • Follow us on: