ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ ધીરે ધીરે ખૂલી રહ્યું છે. 1 મનપા અને 66 નગરપાલિકાનું રિઝલ્ટ લગભગ આવી ગયું છે. જેમાં ગુજરાતની 34 નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. કુલ 1677 બેઠકોમાંથી 1001 બેઠકો પર ભગવો લહેરાયો છે. તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થયા છે. આ વચ્ચે જૂનાગઢ મનપા પરિણામ બાદ બબાલ થયાના સમાચાર સામે આવ્યા છે.


જૂનાગઢ મનપા પરિણામ બાદ બબાલ

જૂનાગઢ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાન પહેલા જ 3 અને 14 વોર્ડના ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. જુનાગઢ મનપાના પરિણામ બાદ ચીત્તાખાના ચોક પાસે ભારે પથ્થરમારો થયાના સમાચાર સામે આવ્યા છે. વોર્ડ નં.8ના વિજેતા ઉમેદવારની રેલી પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. ચીત્તાખાના ચોક પાસે વોર્ડ નં.8ના વિજેતા ઉમેદવારની રેલી નીકાળી હતી તે દરમિયાન પથ્થરમારો થયો હતો. પથ્થારમારામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.

વાંકાનેરમાં ચૂંટણી પરિણામ બાદ બબાલ

વાંકાનેર નગરપાલિકાના ચૂંટણી પરિણામ બાદ મારામારીની ઘટના સામે આવી છે. વિજેતા ઉમેદવારો દ્વારા એક દુકાન પાસે ફટાકડા ફોડતા મારામારી થઈ હતી. વાંકાનેર નગરપાલિકા ના વોર્ડ 6 ના બંને પક્ષોના સમર્થકો સામસામે મારામારી કરી હતી. ભાજપના ઉમેદવારો વિજેતા થતા આપના ઉમેદવારની દુકાન પાસે ફટાકડા ફોડવા મામલે માથાકૂટ થઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.

જૂનાગઢ મહાનગરપાલિકામાં મોટો ઉલટફેર

જૂનાગઢ મહાનગરપાલિકામાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપના નેતા ગિરીશ કોટેચાના પુત્રની હાર થઇ છે. વોર્ડ નંબર-9માં ગિરીશ કોટેચાના પુત્રની હાર થઇ છે. જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક અપક્ષના ખાતામાં જતી રહી છે. ગિરિશ કોટેચા જૂનાગઢ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે.

જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર-9માં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા સામે મહિપતસિંહ બસીયાની જીત થઇ હતી. જોકે, જીત બાદ ગણતરીના સમયમાં જ મહિપતસિંહે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. આકાશ કટારાએ મહિપતસિંહ બસિયાને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું કે, મે જે ધાર્યુ હતું તે મળી ગયું અને હવે જે કરવું હતું તે કરી લીધુ છે.

  • Follow us on: