જૂનાગઢના ભેસાણમાં યુવાનોમાં અનોખી રીતે મકરસંક્રાંતિ ઉજવવાની પરંપરા છે. ઉતરાયણના પાવન અવસરે ભેસાણના સ્મશાન ખાતે જનસેવા એ જ પ્રભુસેવા ઉક્તિને સાર્થક કરતો અનોખો શ્રમ યજ્ઞ કરવામાં આવે છે.
18 વરણના યુવાનોએ બપોરે સ્મશાનમાં જ ભોજન કર્યું
જૂનાગઢના ભેસાણના સ્મશાનમાં 200થી વધારે યુવાનો દ્વારા સંક્રાંતિના દિવસે સેવા યજ્ઞ કરવામાં આવ્યો હતો. હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારનું ખૂબ જ મહત્વ છે, ત્યારે ભેસાણ ગામના તમામ સમાજના સ્વજનોના અંતિમ સંસ્કાર માટે લાકડાની ઘટ ન ઉભી થાય તે માટે આ યુવાનોએ પોતાના પરિવાર સાથે મકરસંક્રાંતિ ઉજવવાને બદલે સ્મશાનમાં આ શ્રમયજ્ઞ દ્વારા અનોખી રીતે આ પર્વની ઉજવણી કરી તેમજ એક જ પંગતમાં 18 વરણના યુવાનોએ બપોરે સ્મશાનમાં જ ભોજન કર્યું હતું.
અંતિમ સંસ્કાર માટે લાકડાની ઘટ ન થાય તે માટે આ શ્રમ યજ્ઞ
વિવિધતામાં એકતાએ ભારત દેશની ઓળખ છે. ભેસાણ ગામના સ્મશાન ખાતે "જન સેવા એ જ પ્રભુ સેવા'ના મંત્રને સાર્થક કરવા માટે ભેસાણ ગામના તમામ સમાજના 250થી વધારે યુવાનો સ્મશાનમાં કોઈપણ સ્વજનના અંતિમ સંસ્કાર માટે લાકડાની ઘટ ન થાય તે માટે આ શ્રમ યજ્ઞ કરે છે. જેમાં ભેસાણ ગામની 5 કિમી સુધીની સીમતળમાંથી લાકડાઓને 30થી 35 જેટલા ટ્રેક્ટર દ્વારા લાકડા એકઠા કરવામાં આવ્યા હતા.
શ્રમ યજ્ઞ કરીને મકરસંક્રાંતિની ઉજવણી
લાકડા કાપવામાં આવ્યા અને ભીના ના થાય તે માટે ત્રણ જેટલા સ્ટોરેજમાં ગોઠવણી કરવામાં આવી હતી. ભૂતકાળમાં આગથી બળી ગયેલા ડોમને પણ વિશ્વકર્મા સમાજના તમામ યુવાનો દ્વારા શ્રમ યજ્ઞ કરીને ડોમ નિર્માણનું કાર્ય પણ મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવ્યું હતું. આમ, જ્યારે શહેરોમાં પતંગ ચગાવીને ઉતરાયણની ઉજવણી યુવાનો કરતા હોય છે, ત્યારે ભેસાણ ગામમાં યુવાનો શ્રમ યજ્ઞ કરીને અનોખી રીતે મકરસંક્રાંતિની ઉજવણી કરે છે.













