13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં કરોડો શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. જોકે, મહાકુંભનાં સમાપનને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે. આગામી 26 ફેબ્રુઆરીએ મહાકુંભનું સમાપન થશે. ત્યારે હવે બાકી રહેલા 11 દિવસોમાં પવિત્ર સંગમ સ્થાને આસ્થાની ડૂબકી લગાવવા માટે પ્રયાગરાજમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે.
સ્થાનિકો અખાડામાં કથા, સત્સંગ, પ્રસાદ સહિતનો પણ લાભ લેવાનું ચૂક્યા નથી
કચ્છમાંથી પણ અત્યાર સુધીમાં સાધુ-સંતોથી લઈને શ્રદ્ધાળુઓ મળીને 25,000થી પણ વધુ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. એટલું જ નહીં સ્થાનિકો અખાડામાં કથા, સત્સંગ, પ્રસાદ સહિતનો પણ લાભ લેવાનું ચૂક્યા નથી. મહાકુંભ સ્નાન કરીને પરત આવેલા મોટાભાગના લોકો પ્રયાગરાજની વ્યવસ્થાને વખાણી રહ્યા છે. પાર્કિંગથી લઈને છેક સંગમ ઘાટ સુધી પહોંચવા માટે જે રીતના રસ્તાઓ ઉભા કરવામાં આવ્યા છે, બ્રિજ બનાવાયા છે તેની સરાહના કરવાનું પણ ચૂક્તા નથી. એટલું જ નહીં સફાઈ સહિતની વ્યવસ્થાએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું છે. 144 વર્ષ બાદ સર્જાયેલા યોગ વચ્ચે મહાકુંભ સ્નાન કરવાનો મોકો મળ્યો હોઈ પોતાની જાતને ધન્ય અનુભવી રહ્યા છે. એટલું જ નહી સાથોસાથ બાળકો સહિત પરિવારજનોએ પણ અયોધ્યામાં રામ મંદિર સહિતનાં આજુબાજુના સ્થળોએ દર્શન કરીને નવી પેઢીમાં સનાતન ધર્મ માટેના બીજોનું રોપણ કરવાનું પણ ચૂક્યા નથી. કારણ કે, વિવિધ અખાડાઓમાં ધર્મને લઈ સારા એવા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જેનો લાભ નવી પેઢીને પણ મળી રહ્યો છે.
અત્યાર સુધીમાં 5 શાહીસ્નાનનું સમાપન
જોકે, અત્યાર સુધીમાં 5 શાહીસ્નાનનું સમાપન થઇ ચૂક્યું છે અને હવે એક માત્ર શાહીસ્નાન બાકી છે જે આગામી 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના દિવસે યોજાશે અને ત્યારબાદ વિધિવત્ રીતે મહાકુંભની પૂર્ણાહુતિ થશે. જોકે, હવે બાકી રહેલા 11 દિવસમાં પણ દેશભરમાંથી કરોડો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં પહોંચશે. કચ્છમાંથી પણ આગામી 20 થી 23 દરમ્યાન સારા એવા પ્રમાણમાં લોકો કુંભ સ્નાન માટે જવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે.
પ્રયાગરાજમાં પ્રવેશતાની સાથે પાર્કિંગની કાબિલેદાદ વ્યવસ્થા
શ્રદ્ધાળુ રોહનભાઈ પટેલે જણાવ્યું કે પ્રયાગરાજમાં પ્ર્રવેશતાની સાથે જ 5 કિલોમીટર જેટલો પાર્કિગ એરિયા અલાયદો રાખવામાં આવ્યો છે. જેને કારણે સંગમઘાટ તરફ જતાં લોકોને વાહનોના કારણે મુશ્કેલીઓ પડે નહીં. વળી, અહીં કાર પાર્કિંગ બાદ સ્થળ પર મોજૂદ રહેતા ડ્રાઈવરો સહિતના લોકોને ધ્યાને લઇને ચા-પાણી, નાસ્તો, બે ટાઇમ ભોજન તેમજ ટોયલેટ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. જે ખરેખર કાબિલેદાદ છે. કારણ કે, આ પાર્કિંગમાં એક સાથે દોઢ લાખથી વધુ વાહનો પાર્ક કરી શકાય તેવી સ્થળ પર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેને કારણે ખાનગી વાહનોને લઈને જતા શ્રદ્ધાળુઓને પણ કોઈ મુશ્કેલીના સામનો કરવો પડતો નથી.
અખાડા-આશ્રામોમાં સતત ભજન-કીર્તન-સત્સંગનો નજારો
અન્ય એક શ્રદ્ધાળુ જિગર છેડાએ કહ્યું કે સંગમ તટ ઉપર વિવિધ સંપ્રદાયોનાં અખાડા, આશ્રામો કે જે 13મી જાન્યુઆરીથી શ્રદ્ધાળુઓ માટે ધમધમતા થયા તે આજ સુધી ચાલુ છે. અહીં દરોરોજ કથા-વાર્તા, સત્સંગ, ભજન-કીર્તન, વ્યાખ્યાન સહિતનાં અનેકવિધ કાર્યક્રમો દ્વારા સંતો સનાતન ધર્મનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. મહત્ત્વની વાત તો એ છે કે યુવાનોને પણ સનાતન ધર્મને જાણવા માટેની ઉત્કંઠા આ અખાડાઓમાં સ્પષ્ટપણે નજરે પડે છે. અહીં ભજનની સાથે ભોજન પ્રસાદ, રહેવાની સગવડ, મેડિકલ સહિતની પણ તમામ પ્રકારની સગવડ ઉપલબ્ધ રખાઇ છે. એક એક આશ્રામ, અખાડાઓમાં દરોરોજનાં ત્રણ લાખથી વધુ શ્રાદ્ધાળુઓ નિઃશુલ્ક પ્રસાદનો લાભ લઇ રહ્યા છે.
ધૂળ ન ઉડે તે માટે કાચા રસ્તા ઉપર મેટલ, પાણીનો છંટકાવ
શ્રદ્ધાળુ વીરભદ્રસિંહ જાડેજાએ કહ્યું કે સંગમ ઘાટ સુધી પહોંચવા માટે એક સાથે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા રસ્તો કાપતા હોય છે. ત્યારે આ દરમ્યાન ધૂળની ડમરીઓ ન ઉડે તે માટે પણ પ્રશાસનની કામગીરી વખાણવા લાયક છે. કારણ કે, કિનારા ઉપરનાં કાચા રસ્તામાં મેટલ પાથરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં દર 15 મિનિટે આટલી બધી ભીડ વચ્ચે પણ રસ્તા ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જેને કારણે ધૂળ ઉડવાની સમસ્યા ન સર્જાય. આ સિવાય ચુસ્ત બંદોબસ્ત માટે રોડ ઉપર સતત પોલીસ મોબાઈલ પણ ફરતી રહે છે. જે લોકોને સ્નાન બાદ રસ્તાના કિનારે બેસવાને બદલે પોતપોતાના સ્થળ તરફ આગળ વધવા માટે સતત સૂચનો આપતી રહે છે.
ભીડના નિયમન માટે એક પાકા બ્રિજની પાસે વધારાનાં ત્રણ બ્રિજ
શ્રદ્ધાળુ નીતિન શાહે જણાવ્યું કે પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓની સંખ્યાને ધ્યાને લઇને 26 જેટલા ઘાટ ઊભા કરવામાં આવ્યા છે તો શ્રદ્ધાળુઓને પણ તેઓ જે ઘાટ ઉપર હોય ત્યાં જ આસ્થાની ડૂબકી લગાવી લેવા માટે પ્રશાસન દ્વારા સતત અનુરોધ કરવામાં આવતો રહે છે. પ્રવાસીઓની એક જ ઘાટ ઉપર ભીડ ન વધે તે માટે પણ અલગ અલગ ઘાટો સુધી શ્રદ્ધાળુઓને પહોંચાડવામાં આવી રહ્યા છે. અહીં નદી ઉપર એક પાકા બ્રિજની સાથે વધારાનાં અન્ય ત્રણ બ્રિજ ટયુબવેલ દ્વારા બનાવવામાં આવ્યા છે. જેના દ્વારા પણ પ્રવાસીઓને વિવિધ ઘાટ સુધી પહોંચાડવામાં અને સ્નાન કર્યા બાદ પરત ફરવા માટે સરળતા રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સ્થાનિક રહેવાસીઓ દ્વારા યાત્રાળુઓને પૂરતો સહયોગ
નમન ઠક્કર નામના એક શ્રદ્ધાળુએ કહ્યું કે પ્રયાગરાજમાં સ્થાનિક રહેવાસીઓ, દુકાનધારકો, ધંધાર્થીઓ દ્વારા પણ પ્રવાસીઓને પૂરતા પ્રમાણમાં સહયોગ આપવામાં આવી રહ્યો છે. પાણીની બોટલ સહિતના કોઈપણ વસ્તુઓની ખરીદીમાં ક્યાંય પણ ઉઘાડી લૂંટ જોવા મળી નહીં. જે ભાવ હોય તે જ ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં સ્થાનિક રહેવાસીઓ પણ શ્રદ્ધાળુઓને પૂરતા પ્રમાણમાં સહયોગ આપી રહ્યા છે જે ખરેખર ઉડીને આંખે વળગે તેવી બાબતે છે. દરરોજની લાખો લોકોની ભીડ છતાં પણ સ્થાનિક લોકોનો ઉપયોગી, મદદરૂપ થવાનો વ્યવહાર ખરેખર સરાહનીય છે. જે સમગ્ર ધાર્મિક યાત્રાને વધુ મધુર, યાદગાર બનાવે છે.













