ઉમંગ ઉત્સાહનું પર્વ એટલે ઉત્તરાયણ...ગુજરાત સહિત દેશભરમાં આજે ઉત્તરાયણનાં તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો વહેલી સવારથી જ ધાબા પર ચઢી પતંગ ચગાવી રહ્યા છે. આકાશ રંગબેરંગી પતંગોથી રંગાયું છે અને ધાબા પર સવારથી પતંગ રસિકો લપેટ-લપેટની બુમો પાડી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત તમામ જિલ્લામાં પતંગ રસિકો વહેલી સવારથી જ ધાબે ચડી ગયા છે.
મકરસંક્રાંતિ- ઉતરાયણ એ હિંદુઓનો તહેવાર છે. જે દેશના વિવિધ રાજ્યોમાં અનેક નામો અને અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ઉતરાયણ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લોકો પતંગ ઉડાડીને મકરસંક્રાતિની ઉજવણી કરે છે. નાના મોટા સૌ કોઈ ઘરના ધાબા ઉપર કે ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાડીને તહેવારનો આનંદ માણે છે. આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ નેપાળ અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોમાં પણ ઉજવવામાં આવે છે.
ઉત્તરાયણમાં પતંગ ચગાવવા વધારે મહેનત નહીં કરવી પડે
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર, આજે ઉત્તરાયણમાં પતંગ ચગાવવા વધારે મહેનત નહીં કરવી પડે. કારણ કે પવન અને તેની દિશા બન્ને અનુકૂળ રહેશે. આજે અને આવતીકાલે વાતાવરણમાં પલટાની શક્યતા નહીંવત છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહેવાની સંભાવનાઓ છે. પવનની ગતિ 22 કિમી પ્રતિકલાકની ઝડપે રહે તેવું અનુમાન છે. જ્યારે અમદાવાદમાં પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતાઓ છે. તાપમાનની વાત કરીએ તો 13 થી 14 ડિગ્રી સુધી નોંધાયું છે.
મકરસંક્રાતિએ 'દાન' કરવાનું મહત્ત્વ
મકરસંક્રાંતિ એટલે આજના દિવસે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થયા છે. મકરસંક્રાંતિનાં દિવસે દાન કરવાનું ખૂબ જ મહત્ત્વ રહેલું હોવાથી આ દિવસે લોકો વહેલી સવારથી જ ગૌવંશને ચારો આપવા, મંદિરે દર્શન કરીને જરૂરિયાતમંદોને દાન કરે છે. ઉત્તરાયણનાં દિવસે ઊંધિયું પુરી, ચીક્કી, શેરડી, બોરની જ્યાફત સાથે ઉજવણી કરવામાં આવે છે.