વિરમગામ તાલુકાના નાની કુમાદ ગામ પાસેથી પસાર થતી નર્મદાની સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય કેનાલમાંથી આજે 19 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.મૃતકની ઓળખ વિરમગામના દરજીની વાડી પાસે રહેતા દર્શિલ મહેશભાઈ દરજી તરીકે થઈ છે.ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં કેનાલ કિનારે એકઠા થઈ ગયા હતા અને તંત્રને જાણ કરી હતી.
મૃતક દર્શિલ ITIમાં અભ્યાસ કરતો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક દર્શિલ ITIમાં અભ્યાસ કરતો હતો.તાજેતરમાં જ આવેલા પરિણામમાં તે પરીક્ષામાં નાપાસ થતાં ભારે હતાશામાં સરી પડ્યો હોવાની વિગતો સામે આવી છે. નાપાસ થવાના માનસિક આઘાતમાં તે ગત બે દિવસ અગાઉ પોતાના ઘરેથી કોઈને પણ કહ્યા વગર અચાનક ગુમ થઈ ગયો હતો.પરિવારે તેની સગા સંબંધીઓ અને જાણીતા સ્થળોએ ભારે શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો કોઈ પત્તો મળ્યો નહોતો.આજે નાની કુમાદ ગામ પાસેથી વહેતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક યુવકનો મૃતદેહ તરતો હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી.
