પ્રસિદ્ધ અંબાજી ધામ સહિત સમગ્ર ઉત્તર ગુજરાત પંથકમાં 12 ઓગસ્ટથી શ્રદ્ધા અને આરાધનાના પવિત્ર દશામાના વ્રતનો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. માતાજીની દિવ્ય આરાધનાના આ પર્વને લઈને અંબાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ભક્તોમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને રોમાંચ જોવા મળી રહ્યો છે. પવિત્ર વ્રતની પૂર્વસંધ્યાએ સમગ્ર અંબાજી પંથક અત્યારે દશામાના જયઘોષ અને ભક્તિમય માહોલમાં સજ્જ થઈ ગયો છે.
આકર્ષક મૂર્તિઓ લેવા બજારોમાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ
દશામાના આગમનને વધાવવા માટે અંબાજીના મુખ્ય બજારોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. પોતાના ઘરમાં દશામાની સ્થાપના કરવા માટે ભક્તો સુંદર, સુશોભિત અને આકર્ષક મૂર્તિઓની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. લોકો પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે દશામાની મૂર્તિઓને પોતાના ઘરે લાવીને સ્થાપન કરવાની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે.

મોંઘવારીની અસર, મૂર્તિઓના ભાવમાં 10% વધારો
મોંઘવારીની સીધી અસર આ વર્ષે તહેવારોની ખરીદી પર પણ જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે દશામાની મૂર્તિઓની કિંમતોમાં આશરે 10% જેટલો ભાવવધારો નોંધાયો છે. આમ છતાં, ભક્તોની શ્રદ્ધા અને ઉત્સાહ આગળ મોંઘવારી પાછી પડી છે. મોંઘી મૂર્તિઓ હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ કમી આવી નથી અને તેઓ ધામધૂમથી ખરીદી કરી રહ્યા છે.

10 દિવસની પૂજા-અર્ચના બાદ ભક્તિભાવપૂર્વક કરાશે વિસર્જન
આવતીકાલથી શરૂ થતાં આ પવિત્ર પર્વ દરમિયાન શ્રદ્ધાળુઓ સતત 10 દિવસ સુધી પૂર્ણ નિષ્ઠા, ઉપવાસ અને ભક્તિભાવપૂર્વક દશામાની પૂજા-અર્ચના કરશે તથા વ્રત રાખશે. 10 દિવસના જાગરણ અને આરાધના બાદ વ્રતના અંતે પવિત્ર મૂર્તિઓની વિધિવત અને ભક્તિભાવપૂર્વક પધરામણી એટલે કે વિસર્જન કરવામાં આવશે.
આ પણ વાંચો - Surendranagar: ભકતોની દશા સુધારતા દશામાંના વ્રતની તૈયારી