રાજ્યમાં અસામાજિક તત્વો અને ગુનેગારો સામે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ અપનાવી રહેલી પૂર્વ કચ્છ પોલીસે અંજાર શહેરમાં મોટી કારવાઈ હાથ ધરી છે. અંજારના અતિ સંવેદનશીલ ગણાતા શેખ ટિંબો વિસ્તારમાં ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો દ્વારા સરકારી કે ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી જમીનો પર બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા.

દાદાગીરીના જોરે જમીનો પચાવી 

પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી પોલીસ કાફલા અને નગરપાલિકા/મહેસૂલ ટીમ સાથે રાખીને શેખ ટિંબો વિસ્તારમાં દરોડા જેવા માહોલમાં ડિમોલિશન હાથ ધરાયું હતું. આ કાર્યવાહી દરમિયાન આશરે રૂ. 1 કરોડની કિંમતના 5 જેટલા પાકા ગેરકાયદે મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, જે લોકોના મકાનો તોડી પાડવામાં આવ્યા છે તે તમામ આરોપીઓ ભૂતકાળમાં છેતરપિંડી, ચોરી તેમજ એનડીપીએસ (NDPS) જેવા ગંભીર અને અસામાજિક ગુનાઓમાં સંડોવાયેલા છે. ગુનાખોરીના કાળા કારોબારમાંથી મેળવેલી રકમ અને દાદાગીરીના જોરે આ ગેરકાયદેસર દબાણો ઊભા કરવામાં આવ્યા હતા.

આરોપીઓ સામે પોલીસની આકરા પગલાંની નીતિ

પૂર્વ કચ્છ પોલીસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જિલ્લામાં શાંતિ અને સુરક્ષા ડહોળવાનો પ્રયાસ કરનાર કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવનાર કોઈપણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં. શેખ ટિંબોમાં થયેલી આ ધાકધમકી વગરની કડક કાર્યવાહીના કારણે સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે, જ્યારે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: Banaskantha: દિયોદરના લવાણા ગોગા મહારાજ મંદિર ચોરીનો પર્દાફાશ, LCB એ રાજસ્થાનના 3 આરોપીઓને ઝડપ્યા