અંકલેશ્વરના ઔદ્યોગિક એરિયા નજીક આવેલી આમલા ખાડીમાંથી ગત 21 જૂનના રોજ એક અજાણ્યા પુરુષનો કહોવાયેલો મૃતદેહ મળતા સમગ્ર ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દોડતું થયું હતું. મૃતદેહ કલાકો સુધી પાણીમાં રહેવાના કારણે ફુલાઈ ગઈ હતી અને ચહેરો ઓળખવો અશક્ય હતો. જોકે, અંકલેશ્વર પોલીસે હિંમત હાર્યા વગર મૃતકના શરીરના ભાગોનું બારીકાઈથી નિરીક્ષણ કરતા તેના હાથ પર એક ખાસ છૂંદણું (ટેટૂ) જોવા મળ્યું હતું. આ છૂંદણાના ફોટા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાયરલ કરતા આ મૃતદેહ 17 જૂનથી ગુમ થયેલા પરેશ વસાવાની હોવાનું સાબિત થયું હતું.
ફોરેન્સિક લેબોરેટરીએ ખોલ્યા મર્ડરના રહસ્યો
મોતનું સાચું કારણ જાણવા પોલીસે મૃતદેહને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. સુરતના તબીબો અને એફએસએલ (FSL) ની ટીમે રીપોર્ટમાં સ્પષ્ટ કર્યું કે પરેશનું મોત ડૂબી જવાથી નહીં, પરંતુ તેના માથામાં કોઈ લોખંડની રોડ કે ભારે બોથડ પદાર્થના ઉપરાઉપરી ઘા મારીને કરવામાં આવ્યું છે. આ મર્ડર હોવાનું કન્ફર્મ થતાં જ અંકલેશ્વર ડીવાયએસપી અને પીઆઈના નેતૃત્વમાં અલગ-અલગ ટીમો બનાવી તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો હતો.










