ગુજરાતમાં ચોમાસાની સિઝન જામી છે. ભારે વરસાદ થવાથી જળાશયોમાં પાણીનો ભરપુર જથ્થો ઉપલબ્ધ થયો છે. બીજી બાજુ ધોધ અને નાના જળાશયોમાં પણ નવા નીરની આવક થતાં રળિયામણાં દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેથી પ્રવાસીઓ પણ આ પ્રકારના જાણિતા સ્થળો પર ફરવા માટે જઈ રહ્યાં છે. અરવલ્લી જિલ્લામાં પ્રવાસીઓમાં ફેવરિટ રહેલા ઝાંઝરી ધોધને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
અકસ્માતો અને જાહેર સલામતીને ધ્યાને રાખી નિર્ણય
અરવલ્લી જિલ્લાના જાણિતા પ્રવાસન સ્થળ ઝાંઝરી ધોધ ખાતે અકસ્માતો અટકાવવા અને જાહેર જનતાની સલામતી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ જાહેરનામા અનુસાર, 9 જુલાઈથી આગામી 6 સપ્ટેમ્બર સુધી પ્રવાસીઓ માટે આ વિસ્તારમાં જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.ચોમાસાની ઋતુમાં પાણીનો પ્રવાહ વધવાના કારણે સર્જાતા જોખમોને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા આ કડક નિર્ણય લેવાયો છે. તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ ઝાંઝરી ધોધથી લઈને ગંગેશ્વર મહાદેવ ચેકડેમ સુધીના આશરે 5 કિલોમીટરના વિસ્તારને સંપૂર્ણપણે પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
