અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના અભાવે પાક સુકાઈ જવાની અને પાણીની તંગી ઊભી થવાની ભીતિ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવા અને મેઘરાજા વહેલી તકે મન મૂકીને વરસે તેવા આશય સાથે મેઘરજના નગરજનો અને વેપારીઓ ભક્તિના શરણે ગયા છે.

જૂના બજારમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે આહુતિ

મેઘરજના જૂના બજાર વિસ્તારમાં સ્થાનિકો દ્વારા પવિત્ર નવચંડી અને પર્જન્ય યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે ભૂદેવોએ યજ્ઞ પ્રારંભ કરાવ્યો હતો. આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને નગરજનો જોડાયા હતા. ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ લોકકલ્યાણ અને સમગ્ર પંથકમાં સારો વરસાદ થાય તે માટે યજ્ઞ કુંડમાં પવિત્ર આહુતિઓ આપી હતી.

Arvalli News: Navchandi and Parjanya Yagna in Meghraj for Good Rain

ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા વિશેષ પ્રાર્થના

આ ભક્તિમય માહોલમાં વાતાવરણ મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું. ચોમાસાની સિઝન અડધી થવા છતાં જોઈએ તેવો વરસાદ ન પડતા લોકોએ ઇન્દ્રદેવ અને મેઘરાજાને પ્રસન્ન કરવા માટે વિશેષ પ્રાર્થના કરી હતી. ધરતીપુત્રો સહિતના તમામ નાગરિકોએ એકસૂરે ભગવાનને વિનંતી કરી હતી કે, પંથક પર વહેલી તકે અમીછાંટણા થાય, જેથી ખેતી બચી શકે અને લોકોને રાહત મળે.


https://twitter.com/sandeshnews/status/2078783566801256632


આ પણ વાંચો - Gujarat Weather : આજે બપોરે 1 વાગ્યા સુધીમાં 23 જિલ્લામાં વરસાદની આગાહી, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ