અરવલ્લી જિલ્લામાં ચોમાસાના પ્રારંભિક રાઉન્ડ બાદ વરસાદ લાંબા સમયથી ખેંચાતા જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે.જિલ્લામાં સીઝનના પહેલા વરસાદ બાદ ઉત્સાહમાં આવીને ખેડૂતોએ મોટા પાયે વાવેતરની શરૂઆત કરી દીધી હતી.વાવેતર કર્યા બાદ લાંબા સમય સુધી વરસાદ ન પડવાને કારણે ખેડૂતોનો મોંઘા ભાવનો બિયારણ અને ખાતરનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.પૂરતા પાણીના અભાવે ખેતરોમાં લહેરાતો પાક હવે સુકાવા લાગ્યો છે.

ખેડૂતોએ એક લાખ હેક્ટરમાં વાવેતર કર્યું 

અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં ખેડૂતો દ્વારા અંદાજે 1 લાખ હેક્ટર જેટલી વિશાળ જમીનમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.જેમાં મુખ્યત્વે મગફળી, સોયાબીન અને કપાસ જેવા રોકડિયા પાકોનો સમાવેશ થાય છે.વરસાદી પાણી વગર આ તમામ પાકો સુકાઈ જવાની આરે પહોંચી ગયા છે.ખાસ કરીને મગફળીનું વાવેતર ભારે ખતરામાં આવી પડ્યું છે.વરસાદની આ ખેંચને કારણે જિલ્લાની અંદાજે 51 હજાર હેક્ટર જમીનમાં થયેલા વાવેતરમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

પાણી વગર પાક સુકાવાની તૈયારીમાં 

આ કપરી પરિસ્થિતિમાં પોતાના કિંમતી પાકને બચાવવા માટે ખેડૂતો રાત-દિવસ મથામણ કરી રહ્યા છે.જે ખેડૂતો પાસે કૂવા કે બોરની થોડીઘણી સગવડ છે તેઓ ડ્રિપ ઈરિગેશન દ્વારા ગમે તેમ કરીને પાકને જીવંત રાખવાનો છેલ્લો પ્રયાસ કરી રહ્યા છે.પરંતુ જે વિસ્તારોમાં સિંચાઈના પાણીની કોઈ જ વ્યવસ્થા નથી ત્યાં ખેડૂતો માત્ર આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.જો આગામી થોડા દિવસોમાં કુદરત મહેરબાન નહીં થાય અને સારો વરસાદ નહીં પડે, તો ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડવો નક્કી છે.

આ પણ વાંચોઃ Gujarat Weather: સુરતમાં ખાડીપૂરની રાહત બાદ ફરી વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર