અરવલ્લી જિલ્લામાં ચોમાસાના પ્રારંભિક રાઉન્ડ બાદ વરસાદ લાંબા સમયથી ખેંચાતા જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે.જિલ્લામાં સીઝનના પહેલા વરસાદ બાદ ઉત્સાહમાં આવીને ખેડૂતોએ મોટા પાયે વાવેતરની શરૂઆત કરી દીધી હતી.વાવેતર કર્યા બાદ લાંબા સમય સુધી વરસાદ ન પડવાને કારણે ખેડૂતોનો મોંઘા ભાવનો બિયારણ અને ખાતરનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.પૂરતા પાણીના અભાવે ખેતરોમાં લહેરાતો પાક હવે સુકાવા લાગ્યો છે.
ખેડૂતોએ એક લાખ હેક્ટરમાં વાવેતર કર્યું
અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં ખેડૂતો દ્વારા અંદાજે 1 લાખ હેક્ટર જેટલી વિશાળ જમીનમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.જેમાં મુખ્યત્વે મગફળી, સોયાબીન અને કપાસ જેવા રોકડિયા પાકોનો સમાવેશ થાય છે.વરસાદી પાણી વગર આ તમામ પાકો સુકાઈ જવાની આરે પહોંચી ગયા છે.ખાસ કરીને મગફળીનું વાવેતર ભારે ખતરામાં આવી પડ્યું છે.વરસાદની આ ખેંચને કારણે જિલ્લાની અંદાજે 51 હજાર હેક્ટર જમીનમાં થયેલા વાવેતરમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
