અંબાજી હાઈવે પર એક અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. દાંતા-જીતપુર રોડ પર આવેલા લોટોલ અને માણેકનાથ ગુફા નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં બે લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે. આ દિલધડક અકસ્માતને પગલે માર્ગ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
દર્શન કરીને પરત ફરતી વખતે કાળ ભેટ્યો
મળતી માહિતી મુજબ, બાઈક પર સવાર યુવક અને યુવતી દર્શન કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન માણેકનાથ ગુફા નજીક પુરપાટ ઝડપે આવતી કાર અને બાઈક વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈકના કૂચેકૂચા નીકળી ગયા હતા અને સવાર યુવક-યુવતી રસ્તા પર પછડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટના સ્થળે જ 2 લોકોના કરુણ મોત
આ કાળજું કંપાવી દે તેવી ઘટનામાં કારની જોરદાર ટક્કર વાગવાથી બાઈક સવાર યુવક અને યુવતી બંનેનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. દર્શન કરીને ખુશી-ખુશી ઘર તરફ જઈ રહેલા નિર્દોષ યુવક-યુવતીના અચાનક કરુણ મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે અને બે હસતા-રમતા પરિવારોએ પોતાના વ્હાલસોયા સ્વજનો ગુમાવ્યા છે.

દાંતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ દાંતા પોલીસ કાફલો તુરંત સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને કબજે લઈને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કાર ચાલક સામે ગુનો નોંધીને અકસ્માતનું સાચું કારણ જાણવા કાયદેસરની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો - Banaskantha News: ડીસાના ઝાબડીયા ગામે SMCની રેડ, ધમધમતા જુગારધામમાંથી લાખોનો મુદ્દામાલ જપ્ત